મુંબઇઃ ગુજરાતી સાહિત્ય જગતનાં લોકપ્રિય શાયર અને કવિ બરકત વિરાણા (બેફામ) અને સૈફ પાલનપુરીના જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે મુંબઇમાં માટુંગા ગુજરાતી સેવા મંડળ દ્વારા સ્મૃતિવંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીનાં સહયોગથી યોજાયેલ આ કાર્યક્રમમાં સુરેશ જોશી, રાજુલ દિવાન, હિતેન આનંદપરા, ચેતન ફ્રેમવાલાએ બંને શાયરોની રચનાઓ આ સાહિત્યિક સાંજે રજૂ કરી હતી.
ચેતન ફ્રેમવાલાએ સૈફ પાલનપુરીની રચનાઓ સામે નથી કોઇ વાંઘ…, છે ઘણાં એવા કે યુગને પલટાવી ગયા… રચનાઓ પ્રસ્તુત કરી હતી. જ્યારે રાજુલ દિવાનની શાંત ઝરૂખે વાત નીરખતી… (સૈફ પાલનપુરી)ની રચના પર મહેમાનો ઝુમી ઉઠ્યા હતાં.
આ પ્રસંગે સૈફ પાલનપુરીનાં પુત્ર મુસ્તફા ખારવાલાએ પિતાનાં સંસ્મરણો વાગ્યોળ્યાં હતા.
ગુજરાતી ભાષા, સાહિત્યને જીવંત રાખવા સતત પ્રયત્નશીલ માટુંગા ગુજરાતી સેવા મંડળનાં પ્રમુખ ચંપકલાલ ગંગટ, ભાઈલાલ વોરા (સેક્રેટરી), નવીન શાહ (સેક્રેટરી)એ આ કાર્યક્રમને સફળ બનાવવા સત સક્રિય રહ્યાં હતા. આ કાર્યક્રમનું સુંદર સંચાલન જાણીતા લેખક, કવિ, પ્રસ્તુતકર્તા દિલીપ રાવલે કર્યું હતું.