ગાંધીનગરઃ ગાંધીનગરમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં રાજ્ય માર્ગ સલામતી પરિષદની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં થતા અકસ્માતોને અટકાવવા રાજ્ય સરકાર ટેકનોલોજીનો સુયોગ્ય ઉપયોગ કરશે. ગુજરાતમાં માર્ગ સલામતી તથા ટ્રાફિક નિયમ પાલનમાં જાગૃતિ લાવવા ઉત્કૃષ્ટ કામગીરી કરનારને વાહન વ્યવહાર મંત્રીના હસ્તે વિવિધ કેટેગરીમાં ‘ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડ-૨૦૨૩’ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં સિટી-ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કમિટી કેટેગરીમાં સિટી રોડ સેફટી કમિટી-સુરતે પ્રથમ ક્રમ, ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કમિટી- રાજકોટે દ્વિતીય ક્રમ અને ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કમિટી- બનાસકાંઠાએ તૃતીય ક્રમે પ્રાપ્ત કર્યો હતો. મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઈ.પોલીસ કમિશનર વાબાંગ જમીરને રૂ. ૧.૨૫ લાખની સન્માન રાશિ અને શિલ્ડ એનાયત કરાયા હતા. આ બેઠકમાં બંદર અને વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, ગૃહ વિભાગના સચિવ નીપુણા તોરવણે, શહેરી વિકાસ વિભાગના સચિવ, વાહન વ્યવહાર કમિશનર, ગુજરાત રોડ સેફટી ઓથોરીટીના રોડ સેફટી કમિશનર, GSRTCના ઉપાધ્યક્ષ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યાં હતાં.