ગુજરાતી ગરબાને યુનેસ્કો દ્વારા ‘ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ’ જાહેર કરાશે

અમદાવાદઃ ગુજરાતના ગરબાનું ગૌરવ હવે રાજ્ય અને દેશના સીમાડા વટાવી વિશ્વભરમાં એક ઓળખ બની ચૂક્યું છે. ત્યારે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન એટલે કે યુનેસ્કો ગુજરાતના ગરબાને ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ (અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર) તરીકે જાહેર કરે તેવી સંભાવના છે. આને પગલે યુનેસ્કો દ્વારા આયોજિત બોત્સાવાના સમારોહનું રાજ્યભરમાં જીવંત પ્રસારણ કરવામાં આવશે. એટલું જ નહીં, ચાર મહત્ત્વના સ્થળોએ પરંપરાગત ગરબા સાથે વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે, તેમ સરકારની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગરબો ભારતીય સંસ્કૃતિની વૈવિધ્યપૂર્ણ એકતા દર્શાવવામાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ગરબાને મા આદ્યશક્તિની ઉપાસના તરીકે પણ જોવામાં આવે છે. જાતિ-ધર્મ, ભાષા–બોલીના ભેદથી ઉપર ઊઠીને સામાજિક સમરસતા અને સમૂહજીવનને આકાર આપવામાં ગરબાએ મહત્ત્વનું સ્થાન લીધું છે. ગુજરાતના પ્રજાજીવનને ધબકતું રાખવામાં, જીવંત રાખવામાં ગરબાએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ ગરબાનો સૌથી મોટો ઉત્સવ નવરાત્રિ એટલે કે વિશ્વમાં સૌથી લાંબો ચાલનારો લોકોત્સવ પણ બની ચૂક્યો છે. આ નવરાત્રિના ગરબા માણવા માટે હવે દેશ વિદેશથી લોકો ખાસ ગુજરાત આવવા લાગ્યા છે.
ગરબો એટલે ભક્તિભાવ, સ્નેહ અને પારસ્પરિક સહકારનું પ્રતિબિંબ. આપણા સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમો સમૂહમાં ગવાતો ગરબો એ સમાજજીવનનું બહુમૂલ્ય અંગ છે. ગરબો પરસ્પર પ્રેરણા, ઉત્સાહ ઉપરાંત મા આદ્યશક્તિના આવિર્ભાવથી પ્રગટતી ઉત્કટ ભાવનાનું પ્રતીક પણ છે. સદીઓ પુરાણી આ પરંપરા આજના સાંપ્રત સમયમાં પણ જીવંત રહી છે અને યુનેસ્કો દ્વારા તેને ઈન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ જાહેર થવું કરોડો ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ બની રહેશે.
ગુજરાતના ગરબાને હવે વૈશ્વિક ઓળખ મળી જશે, બહુજ જલદી ગુજરાતી ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે જાહેર કરાશે, આ માટે યૂનેસ્કોની ટીમ ગુજરાતમાં આવશે, અને જુદાજુદા સ્થળો પર ગરબાની ઢબને નીહાળશે. અમદાવાદના ભદ્ર ચોકમાં ગરબાનું આયોજન કરવામાં આવશે, એટલુ જ નહીં ચાચર ચોક અંબાજીમાં પણ ગરબાનું ભવ્ય આયોજન કરાશે. યૂનાઈટેડ નેશન્સ એજ્યૂકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (UNESCO) ગુજરાતના લોકનૃત્ય ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે જાહેર કરશે. આ સાથે જ ગુજરાતના ગરબાને યૂનેસ્કોની માનવતા પ્રતિનિધિ યાદીમાં સ્થાન મળવાની અટકળ તેજ થઇ ગઇ છે. અમદાવાદને હેરિટેજ સિટીનું બિરુદ મળ્યા બાદ ગુજરાતના ગરબાને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ મળવાની પુરેપુરી શક્યતા છે. યૂનેસ્કોની ટીમ હાલ અમદાવાદમાં છે. ભદ્રચોકમાં ગરબા માટે આયોજન કરવામાં આવ્યુ છે. અહીં યૂનેસ્કોની ટીમ ગરબાની ઢબ નીહાળશે, આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ યૂનેસ્કોની ટીમો પહોંચીને ગરબાની ઢબને નીહાળશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here