અમદાવાદ: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ગુજરાતના પ્રધાનમંડળે અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા હતા. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાન ઉપરાંત વિધાનસભા અધ્યક્ષ પણ અયોધ્યા પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અયોધ્યા ભવ્ય રામ મંદિરમાં દર્શન બાદ શબરી માતા અને ભગવાન રામચંદ્રજીના ઐતિહાસિક પ્રસંગની પ્રતિકૃતિ સમું પેઇન્ટિંગ અયોધ્યા રામ મંદિર જન્મભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને ભેટ રૂપે અર્પણ કર્યું હતું. મુખ્ય પ્રધાન સહિત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા મંત્રીમંડળ લખનૌ ખાતેના બનાસ ડેરીના પ્લાન્ટની મુલાકાત લીધી હતી. અયોધ્યા રામ મંદિર જન્મભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓને કેસરી ખેસ પહેરાવી તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી, આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ, નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, ઉદ્યોગપ્રધાન બલવંતસિંહ રાજપૂત, પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયા, પ્રવાસન પ્રધાન મૂળુભાઈ બેરા, આદિજાતિ વિકાસપ્રધાન ડો. કુબેર ડિંડોર, મહિલા અને બાળકલ્યાણ પ્રધાન ભાનુબહેન બાબરિયા, રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયા અયોધ્યા પહોંચી રામલલાનાં ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લીધા હતા.