જમ્મુ-કાશ્મીરઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. તેમણે જમ્મુ યુનિવર્સિટીના જનરલ જોરાવર સિંહ ઓડિટોરિયમમાં સુરક્ષા કોન્ક્લેવમાં હાજરી આપી હતી. અહીં તેમણે સંબોધન કરતા જણાવ્યું હતું કે ભારત હવે શક્તિશાળી બની રહ્યું છે. ભારત સરહદની આ બાજુ પણ મારી શકે છે અને જરૂર પડે તો સરહદ પાર જઈને પણ મારી શકે છે. આ કાર્યક્રમમાં રાજનાથ સિંહે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં છેલ્લા નવ વર્ષમાં ઘણા માપદંડો પર ભારતની પ્રતિષ્ઠા વધી છે. પછી તે સંરક્ષણ હોય કે આર્થિક વિકાસ, વિશ્વમાં ભારતનું વર્ચસ્વ વધી રહ્યું છે. વિશ્વ પ્રધાનમંત્રી મોદીનું સન્માન કરે છે, જે ખરેખરમાં ભારતનું સન્માન છે. આ કાર્યક્રમમાં 1500 ખાસ લોકોને બોલાવવામાં આવ્યા હતા. જેમાં આર્મી ઓફિસર્સ, ડિફેન્સ એક્સપર્ટ, થિંક ટેન્ક અને ડિફેન્સ જર્નાલિસ્ટ સામેલ હતા. કાર્યક્રમ બાદ સંરક્ષણ મંત્રી ત્રિકુટા શહેરના ભાજપના હેડક્વાર્ટર પણ જશે. અહીં તેઓ પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરશે અને રાજકીય સ્થિતિ પર ચર્ચા કરશે. રાજનાથે કહ્યું કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં નવ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે. નવ વર્ષમાં આંતરરાષ્ટ્રીય વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા, ભારતનું કદ વધ્યું છે.