લોકસભામાં મોદી સરકારની વિરુધ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવાનો તખ્તો વિપક્ષ દ્વારા ગોઠવાઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આંધ્રના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડૂએ રાજ્યની વિધાનસભામાં એવું નિવેદન કર્યું હતું કે, જો અનિવાર્ય લાગશે તો તેમનો પક્ષ લોકસભામાં બીજા કોઈ વિપક્ષ દ્વારા મૂકવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્તનું સમર્થન કરશે. આંધ્રને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ તેલુગુદેશમ પાર્ટી – ટીડીપી દ્વારા કરવામાં આવી હતી. ટીડીપીના સંસદસભ્યોએ વારંવાર સંસદમાં એ અંગે તથા આંધ્રની અન્ય સમસ્યાઓ બાબત રજૂઆત કરી હતી. પણ તાજેતરમાં નાણાપ્રધાન અરુણ જેટલીએ આંધ્રને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો ઈન્કાર કરી દીધો હતો. જેના કારણે ટીડીપીના સભ્યો નારાજ થયા હતા. કેન્દ્રીય પ્રધાનમંડળમાં હિસ્સેદારી ધરાવતા ટીડીપીના બે પ્રધાનોએ પોતાનો વિરોધ પ્રદર્શિત કરવા રાજીનામાં આપી દીધાં હતા. આંધ્રપ્રદેશમાં ટીડીપી અને વાઈએસઆર કોંગ્રેસ બે રાજકીય પક્ષો એકમેકનો વિરોધ કરી રહ્યા છે પણ, આંધ્રને વિશેષ રાજ્ય બનાવવાના મામલે તેઓ એકમત છે. આ અંગે કોંગ્રેસ સહિત વિવિધ રાજકીય પક્ષના અગ્રણી નેતાઓ સાથે વિચાર- વિમર્શ થઈ રહ્યો હોવાની માહિતી પાપ્ત થઈ હતી. સંભાવના રાખવામાં આવે છેકે 16માર્ચે સંસદમાં નરેન્દ્ર મોદી સરકાર વિરુધ્ધ અવિશ્વાસનો ઠરાવ રજૂ કરાય .