ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાચા અર્થમાં માનવતાનું કાર્ય કરે છેઃ રાજ્યપાલ

ગાંધીનગરઃ ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખાને અંગદાન મેળવવા માટે વધુ સક્રિય થવા રાજ્યપાલ અને ગુજરાત રાજ્ય શાખાના પ્રમુખ આચાર્ય દેવવ્રતજીએ અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અંગદાન માટે સમાજમાં જાગૃતિ આવે એ માટે પ્રયત્નશીલ છે. વર્તમાન સમયની માંગ છે લોકો અંગદાન માટે આગળ આવે એ જરૂરી છે.
ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખાની વાર્ષિક સાધારણ સભામાં પ્રમુખપદેથી બોલતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, તમામ રોગોનું મૂળ આપણો આહાર છે. ખાદ્યાન્ન, ફળ, શાકભાજીના ઉત્પાદનમાં રાસાયણિક ખાતર અને કીટનાશક દવાઓનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે, જે આપણા અન્નમાં ભળે છે. ખોરાકમાં આપણે ધીમું ઝેર લઈ રહ્યા છીએ. પરિણામે શરીર અનેક રોગોનું ઘર બને છે. રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઈડ્સમુક્ત ખેતી-પ્રાકૃતિક, ખેતી-નેચરલ ફાર્મિંગ જ આ સમસ્યાનો એકમાત્ર ઉકેલ છે. લોકો પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી જ ઉત્પાદિત અનાજ-શાકભાજી ખાવાનો આગ્રહ રાખશે તો વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરવા માટે પ્રોત્સાહિત થશે. ગુજરાતમાં ૪ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે આ વર્ષમાં ૧૦ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય એવા પ્રયત્નો છે.
દરેક જિલ્લાઓમાં અઠવાડિયામાં બે દિવસ પ્રાકૃતિક બજાર ભરાય, જ્યાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની જ ખેત પેદાશો વેચાય એવું આયોજન કરાઈ રહ્યું છે એમ કહીને આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ પેદાશોના બજારથી ખરીદનારાઓને બજાર કરતાં ઓછી કિંમતે શુદ્ધ ખેત પેદાશો મળશે જેથી આરોગ્ય સુધરશે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સારું બજાર મળશે અને વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહિત થશે.
માનવસેવા અને લોક કલ્યાણ માટે સદાય સેવારત ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અન્યોના દુઃખને પોતાનું દુઃખ માનીને સાચા અર્થમાં માનવતાનું કાર્ય કરે છે. આ માટે ગુજરાત રાજ્ય શાખાને અભિનંદન આપતાં આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, કોઈ એવું ક્ષેત્ર નથી જ્યાં લોકોને સહાયની આવશ્યકતા ન હોય. એવામાં રેડ ક્રોસ અન્યોના દુઃખ-દર્દને પોતાના અનુભવીને સેવા કરે છે. વર્ષ દરમિયાન શ્રેષ્ઠ સેવાકાર્યો કરનાર રેડક્રોસની જિલ્લા અને તાલુકા શાખાઓના પદાધિકારીઓનું તેમણે સન્માન કર્યું હતું.
રાજ્યપાલે કહ્યું કે, જે લોકો સેવા કરે છે એમનું જ આ સમાજમાં સન્માન થાય છે અને એવા સેવાભાવી લોકો જ સાચા અર્થમાં ‘જીવંત’ છે. દીન-દુ:ખિયાની સેવા જ સાચી પ્રભુપૂજા છે. ઈશ્વરને મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા કે ચર્ચમાં શોધવાથી નહીં મળે, જરૂરિયાતમંદ વ્યક્તિની સેવામાં જ ઈશ્વરનો સાક્ષાત્કાર છે. જે વ્યક્તિ અન્યના આત્મા સાથે એકાકાર થઈ શકે છે, અન્યના આંસુ પોતાની આંખોથી વહાવી શકે છે, અન્યની પીડા પોતાના હૃદયમાં અનુભવી શકે છે ત્યાં જ ઈશ્વરનો વાસ છે. રેડ ક્રોસના સ્વયંસેવકો જરૂરિયાતમંદ લોકોની સાચી સેવા કરીને પુણ્યકર્મ કરી રહ્યા છે. સારા કર્મોનું ફળ પણ સારું જ મળે છે. રેડ ક્રોસ સોસાયટીના સેવાકાર્યો માટે જે દાનવીરો દાન આપે છે એમનો પણ રાજ્યપાલે આભાર માન્યો હતો.
આ પ્રસંગે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના અધ્યક્ષ અજયભાઈ પટેલે જણાવ્યું કે, આજે ગુજરાતમાં કુલ ૩૩ જિલ્લામાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા માનવતાવાદી સેવાકાર્યો કરવામાં આવી રહ્યા છે. આ સંસ્થાના ઉપાધ્યક્ષ ડો. અજય દેસાઈ, સેક્રેટરી ડો. પ્રકાશ પરમાર, જિલ્લા અને તાલુકાના વિવિધ શાખાઓના પ્રતિનિધિઓ, ગુજરાત રેડ ક્રોસ સોસાયટીના સભ્યો તેમજ ઝોનના કોર્ડીનેટરો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here