સમગ્ર ભારતમાં જ નહિ, તમામ દુનિયામાં ચકચાર ઊભી કરનારે અત્યંત સંવેદનશીલ તેમજ ચકચારભર્યા ગોધરાકાંડની તપાસ નાણાવટી પંચને સોંપવામાં આવી હતી. જેનો અહેવાલ તાજેતરમાં નાણાવટી પંચે ગુજરાતની વિધાનસભામાં પેશ કર્યો હતો. જેમાં માનનીય વડાપ્રધાન (તત્કાલીન ગુજરાતના મુખ્યપ્રધાન) નરેન્દ્ર મોદીને અને તેમના તે કાર્યકાળના સાથીઓને અહેવાલમાં દોષમુક્ત જાહેર કરવામાં આવ્યા હતા. ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, 2002ની 27 ફેબ્રુઆરીના દિને સાબરમતી એકસપ્રેસ ટ્રેનના કોચ- નં- 6માં આગ લગાડીને ડબ્બાને સળગાવી દેવાની હિચકારી ઘટના બની હતી. જેમાં મુસાફરી કરી રહેલા 58 કારસેવકોનાં મૃત્યુ થયાં હતાં. 40થી વધુ લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યારબાદ તેના પ્રત્યાઘાત રૂપે રાજ્યમાં જે રમખાણો ફાટી નીકળ્યા હતા, તે કોઈ પૂર્વયોજિત કાવતરું નહોતુંં.