ચંદ્રયાન-૩ પૃથ્વીની આગળની ભ્રમણ કક્ષામાં પહોંચ્યું: અવકાશયાન યોગ્ય કંડિશનમાંઃ ઈસરો

બેંગલુરુઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઇસરોના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-૩ની પ્રથમ ભ્રમણકક્ષા વધારવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. એટલે કે ચંદ્રયાન હવે પૃથ્વીની આગામી અને મોટી ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે. આ પ્રક્રિયા બેંગલુરુમાં ઇસરોના ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક દ્વારા નિયંત્રિત કરવામાં આવી હતી. ૩૧મી જુલાઈ સુધી ભ્રમણકક્ષા વધારવાની પ્રક્રિયા વધુ ૪ વખત કરવામાં આવશે.
ઈસરોએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, ‘ચંદ્રયાન-૩ સંપૂર્ણપણે યોગ્ય સ્થિતિમાં છે. આ યાન એવા ઓર્બિટ (ભ્રમણકક્ષા)માં છે, જે પૃથ્વીથી તેના સૌથી નજીકના બિંદુએ ૧૭૩ કિલોમીટર અને તેના સૌથી દૂરના બિંદુએ ૪૧,૭૬૨ કિલોમીટરના અંતરે છે. ઈસરોએ ૧૪ જુલાઈના રોજ બપોરે ૨.૩૫ વાગ્યે ચંદ્રયાન-૩ સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. ચંદ્રયાનને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી રોકેટ દ્વારા અવકાશમાં મોકલવામાં આવ્યું હતું. લોન્ચિંગની ૧૬ મિનિટ બાદ ચંદ્રયાનને સફળતાપૂર્વક પૃથ્વીની ભ્રમણકક્ષામાં પહોંચાવામાં આવ્યું હતું. આ ભ્રમણકક્ષા જ્યારે પૃથ્વીની સૌથી નજીક હતી ત્યારે ૧૭૦ કિલોમીટર અને જ્યારે સૌથી દૂર હતી ત્યારે ૩૬,૫૦૦ કિલોમીટરના અંતરે હતી.
ઈસરોના ચીફ એસ સોમનાથે જણાવ્યું કે જો બધું યોજના મુજબ ચાલ્યું તો યાન ૨૩ ઓગસ્ટે સાંજે ૫.૪૭ કલાકે ચંદ્ર પર ઊતરશે. ચંદ્રયાન-૩માં લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડયુલ છે. લેન્ડર અને રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઊતરશે અને ત્યાં ૧૪ દિવસ સુધી પ્રયોગો કરશે. પ્રોપલ્શન મોડયુલ ચંદ્રની ભ્રમણકક્ષામાં રહીને પૃથ્વી પરથી આવતાં રેડિયેશનનો અભ્યાસ કરશે. મિશન દ્વારા ઇસરો ચંદ્રની સપાટી પર ભૂકંપ કેવી રીતે આવે છે તે શોધી કાઢશે. તે ચંદ્રની જમીનનો પણ અભ્યાસ કરશે. જો સોફ્ટ લેન્ડિંગમાં સફળતા મળે છે એટલે કે મિશન સફળ થાય છે તો અમેરિકા, રશિયા અને ચીન પછી ભારત આવું કરનાર ચોથો દેશ બની જશે.
યુએસ અને રશિયા બંને ચંદ્ર પર સફળતાપૂર્વક ઊતર્યા તે પહેલાં અનેક અવકાશયાન ક્રેશ થયાં હતાં. ૨૦૧૩માં ચાંગ ઈ-૩ મિશન સાથેના પ્રથમ પ્રયાસમાં સફળ થનાર ચીન એકમાત્ર દેશ છે. પ્રક્ષેપણ ખર્ચ વિના ચંદ્રયાન-૩નું બજેટ આશરે રૂ. ૬૧૫ કરોડ છે, જ્યારે તાજેતરની ફિલ્મ આદિપુરુષનું બજેટ રૂ. ૭૦૦ કરોડ હતું. એટલે કે ચંદ્રયાન-૩ આ ફિલ્મની કિંમત કરતાં લગભગ ૮૫ કરોડ રૂપિયા સસ્તું છે. આના ૪ વર્ષ પહેલાં મોકલવામાં આવેલ ચંદ્રયાન ૨ની કિંમત પણ ૬૦૩ કરોડ રૂપિયા હતી. તેના લોન્ચિંગ પર ૩૭૫ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.
ચંદ્રયાન-૩ના પ્રથમ ઓર્બિટ મેન્યુવરિંગને સફળતાપૂર્વક પસાર કરી છે. હવે ચંદ્રયાન-૩ની પ્રથમ કક્ષા બદલાઈ ગઈ છે. ચંદ્રયાન હવે ૪૨ હજાર કિમીથી વધારે અંતરની કક્ષામાં પૃથ્વીની ચોતરફ અંડાકાર ચક્કર લગાવશે. અત્યારે વૈજ્ઞાનિકો આ કક્ષા સાથે સંકળાયેલી માહિતીનું વિશ્લેષણ કરી રહ્યા છે.
ચંદ્રયાન-૩ને ૧૭૯ કિમીની પેરીજી અને ૩૬,૫૦૦ કિમી એપોજીવાળા અંડાકાર કક્ષામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ ઓછા અંતરની પેરોજી છે. જ્યારે લાંબા અંતરની એપોજી દર્શાવવામાં આવી છે. પહેલા ઓર્બિટ મેન્યુવરમાં એપોજીને વધારવામાં આવી છે. તે ૩૬,૫૦૦ કિમીથી વધારી ૪૨ હજાર કિમી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here