કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મણિપુરના CM બિરેન સિંહને બરતરફ કરવાની કરી માંગ

નવી દિલ્હીઃ દેશનું પૂર્વોત્તર રાજ્ય મણિપુર હિંસાની લપેટમાં છે. થોડા દિવસોની શાંતિ બાદ રાજ્યમાં ઈન્ટરનેટ સેવા ચાલુ કરી દેવામાં આવી છે. ઈન્ટરનેટ સેવા ચાલુ કર્યા બાદ સોશિયલ મીડિયા પર બે વિદ્યાર્થીઓની હત્યાની તસવીર વાયરલ થઈ ગઈ હતી. ત્યારબાદ ફરી ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. રાજ્યમાં ફેલાયેલી અશાંતિને લઈને કોંગ્રસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ ભારતીય જનતા પાર્ટી અને વડા પ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે.
તેમણે કહ્યું કે, મણિપુરના લોકો આટલા દિવસથી પરેશાન છે પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે રાજ્યની મુલાકાત લેવાનો પણ સમય નથી. બીજેપીના કારણે મણિપુર યુદ્ધનું મેદાન બની ગયુ છે. આ સાથે જ કોંગ્રેસ અધ્યક્ષે મુખ્યમંત્રી એન બિરેન સિંહની બરતરફીની માંગ કરી છે. તેમણે કહ્યું કે, તેઓ એક અયોગ્ય મુખ્યમંત્રી છે.
કોંગ્રેસ અધ્યક્ષે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, 147 દિવસથી મણિપુરના લોકો પીડાઈ રહ્યા છે, પરંતુ પ્રધાનમંત્રી મોદી પાસે રાજ્યની મુલાકાત લેવાનો સમય નથી. આ હિંસામાં વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવાની ભયાવહ તસવીરોએ સમગ્ર દેશને ફરી એક વખત હચમચાવી મૂક્યો છે. હવે એ સ્પષ્ટ છે કે, આ સંઘર્ષમાં મહિલાઓ અને બાળકો વિરુદ્ધ હિંસાને હથિયાર બનાવવામાં આવ્યુ હતું.
મલ્લિકાર્જુન ખડગેએ આગળ કહ્યું કે, સુંદર રાજ્ય મણિપુરને ભાજપના કારણે યુદ્ધના મેદાનમાં બદલી લેવામાં આવ્યું. હવે સમય આવી ગયો છે કે, વડાપ્રધાન મોદી બીજેપીના અયોગ્ય મણિપુરના મુખ્યમંત્રીને બરતરફ કરે. આગળની કોઈ પણ ઉથલપાથલને નિયંત્રિત કરવા માટે પહેલો નિર્ણય હશે. મણિપુરમાં 3 મેના રોજ આદિવાસી એકતા માર્ચ પછી ફાટી નીકળેલી જાતિ હિંસા બાદ 17 વર્ષના વિદ્યાર્થી હિઝામ લિનથોઈનગાંબી અને 20 વર્ષના વિદ્યાર્થી ફિઝામ હેમજીતની બે તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પહેલી તસવીરમાં બંને ઘાસના મેદાનમાં બેઠેલા નજર આવી રહ્યા છે જ્યારે બીજી તસવીરમાં જાણે તેમની હત્યા કરી દેવામાં આવી હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. આ ફોટામાં તેમની પાછળ હથિયાર પકડેલા બે લોકો પણ નજર આવી રહ્યા છે. આ ઘટના બાદ મુખ્યમંત્રી એન બિરેન સિંહે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી. આ મામલે સીબીઆઈ તપાસ પણ ચાલી રહી છે. (ગુજરાત ટાઈમ્સ સંકલન)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here