કેદારનાથ, બદ્રીનાથ, યમનોત્રી અને ગંગોત્રીમાં ભક્તોની ભારે ભીડ

દહેરાદૂનઃ હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ઓછામાં ઓછું એકવાર ચારધામની મુલાકાત લેવાની ઇચ્છા તો રાખે જ છે. આ જ કારણ છે કે દર વર્ષે આ ધામોમાં ભક્તોની ભારે ભીડ જામે છે. ચારધામમાં કેદારનાથ, બદ્રીનાથ, યમનોત્રી અને ગંગોત્રીનો સમાવેશ થાય છે. આ ચારધામની સાથે, અન્ય પ્રખ્યાત હિંદુ તીર્થ સ્થળોએ પણ વર્ષ 2023માં ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. આ વર્ષે 50 લાખથી વધુ લોકોએ ચાર ધામ યાત્રા પૂર્ણ કરી હતી. વર્ષ 2021માં ચાર ધામ યાત્રામાં લગભગ 5 લાખ 18 હજાર શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. જ્યારે 2022માં આ આંકડો 46 લાખ 27 હજારને પાર કરી ગયો હતો. વર્ષ 2023માં 16 ઓક્ટોબર સુધીમાં આ આંકડો 50 લાખને પાર કરી ગયો હતો. ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ એમ ચારેધામમાં આ વર્ષે શ્રદ્ધાળુઓનો અભૂતપૂર્વ ધસારો રહ્યો હતો. આ વર્ષે 9 લાખ 5 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ ગંગોત્રી ધામની, 7 લાખ 35 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ યમુનોત્રી ધામની, 19 લાખ 61 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ કેદારનાથ ધામની અને 18 લાખ 34 હજારથી વધુ ભક્તોએ ભગવાન બદ્રી વિશાલની મુલાકાત લઇ દર્શન કર્યા હતા. ચારધામ સિવાય અન્ય તીર્થ સ્થાનોની વાત કરીએ તો વર્ષ 2023માં 4 લાખ 40 હજાર શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા. આ વર્ષે અમરનાથ યાત્રા 1 જુલાઈ 2023 થી શરૂ થઈ અને 31 ઓગસ્ટ 2023 ના રોજ પૂરી થઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here