અમદાવાદઃ ભારતમાં મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સંત-ભક્ત મંડળ સહ ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ મણિનગર પધાર્યા છે. ત્રણ માસ પર્યંત લંડન, યુકે, નોર્થ અમેરિકા, કેનેડા વગેરે રાષ્ટ્રોના વિવિધ મહાનગરોમાં તેઓએ અધ્યાત્મસભર પાવનકારી જ્ઞાનસત્ર યોજી તથા યુકે અને નોર્થ અમેરિકાના સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના મંદિરોના પાટોત્સવની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરી સ્વદેશ ભારત પધાર્યા છે.
લંડનના આંતરરાષ્ટ્રીય હવાઈમથકેથી એર ઈન્ડિયા એરવેઝમાં બિરાજમાન થઇ ભારતમાં ગુજરાત રાજયના સરદાર પટેલ ઇન્ટરનેશનલ હવાઈમથકે ઉતરાણ કર્યું હતું. અહીં સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ, મણિનગરના અગ્રણી હરિભક્તોએ હવાઈ મથકે પરમ પૂજય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજનું પુષ્પહાર ધારણ કરાવી ભકિતભાવભર્યું સ્વાગત કર્યું હતું.
ત્યાંથી મણિનગર સ્વામિનારાયણ મંદિર પધારતાં સદગુરુ સંતોએ પરમ પૂજય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામી મહારાજનું પુષ્પહારથી સ્વાગત કર્યું હતું તથા પરમ પૂજય આચાર્ય સ્વામી મહારાજ હરિકૃષ્ણ મહારાજ સહ સ્યંદન – રથમાં બિરાજમાન થયા હતા. વિશ્વભરમાં સુપ્રસિદ્ધ સ્કોટીશ પાઈપ બેન્ડ મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડે મધુર સૂરાવલી રેલાવી હતી.
આ પ્રસંગે સંતો-હરિભક્તો સહ મંદિરના ગર્ભગૃહમાં પધાર્યા હતા. ત્યારબાદ પરમ પૂજય આચાર્ય સ્વામી મહારાજે ઘનશ્યામ મહારાજની સંધ્યા આરતી, દર્શન, ભેટણ લીલા વગેરે સ્વાગત કાર્યક્રમો યોજાયા હતા.