ગોરખપુરનું નામ હાલમાં વિશ્વ-રાજકારણમાં ગાજી રહ્યું છે. ઉત્તરપ્રદેશની ભાજપ માટે અતિ પ્રતિષ્ઠિત લોકસભા બેઠક પરથી પાંચ વાર બહુમતીથી ચૂંટાઈને યોગી આદિત્યનાથ વાજતે-ગાજતે સંસદમાં પ્રવેશતા હતા. ગોરખપુર છેલ્લા 30 વરસોથી ગોરક્ષધામ મઠના અધિપતિઓનો એના પર કબ્જો રહેતો હતો. ભાજપ માટે આ બેઠક સેફ હતી. એ જીતી લીધી છે 29 વર્ષના પ્રવીણ નિષાદે. તેઓ વ્યવસાયે એન્જિનિયર છે. સમાજવાદી પક્ષના ઉમેદવાર બનીને ચૂંટણી લડ્યા, માયાવતીના પક્ષ – બસપાનો સાથ મળ્યો અને મતદારોએ મત આપ્યા.. યોગી આદિત્યનાથ યુપીના મુખ્યમંત્રીપદે આવ્યા એટલે લોકસભાની બેઠક પરથી એમણે રાજીનામું આપ્યું એટલે આ ગોરખપુરની બેઠક માટે પેટા- ચૂંટણી યોજવી પડીહતી. અગાઉ યોગી આદિત્યનાથના ગુરુ મહંત અવૈધનાથ આ લોકસભા મત- વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હતા. પ્રવીણ નિષાદના પિતા ડો. સંજય નિષાદ પક્ષના સંગઠનની કામગીરી સંભાળી રહ્યા છે. નોયડા, દિલ્હીની કોલેજમાંથી ઈજનેરીનો અભ્યાસ કરનારા પ્રવીણ નિષાદ પરણિત છે. તેમના પત્ની રિતિકા નિષાદ પણ ઉચ્ચ શિક્ષિત છે. નિષાદ દંપતીને એક પુત્ર અને એક પુત્રી છે. ગોરખપુરની બેઠક પરથી સમાજવાદી પક્ષના યુવાન ઉમેદવાર પ્રવીણ નિષાદની જીતે યુપીની ભાજપ પ્રદેશ કમિટી માટે અનેક સવાલો ઊભા કર્યા છે.