સંસદની સુરક્ષામાં ચૂક: 7 કર્મચારીઓે સસ્પેન્ડ

નવી દિલ્હી: 13 ડિસેમ્બર 2001ના દિવસે સંસદ પર આતંકવાદી હુમલો થયા ને બુધવારે 22 વર્ષ પૂરા થયા હતા. શહીદોને શ્રધ્ધાંજલિ આપ્યા બાદ સંસદનું કામ શરૂ થયું હતું અને થોડી જ વારમાં સંસદમાં ઘૂસણખોરી થઈ હતી. લોકસભાની પ્રેક્ષક ગેલેરીમાંથી બે યુવાનો સીધા સાંસદોની બેન્ચ પર કુદી પડ્યા હતા. અંદર પ્રવેશ કરી તેમણે નારા લગાવ્યા, સ્મોક ક્રેકર ફોડીને ધુમાડા કર્યા. દેશની સર્વોચ્ચ ઈમારત એટલે કે સંસદ ભવનની સુરક્ષામાં ગાબડું પડ્યું અને આખો દેશ ચોંકી ઉઠ્યો. આ લોકોમાંથી ચાર લોકોની અટક કરવામાં આવી હતી. જેમાંથી એક જણ લાતુર જિલ્લાના ચકુરચા ગામનો છે. આ યુવકનું નામ અમોલ શિંદે છે. તે પોલીસ અને સૈનિક ભરતીની તૈયારી કરી રહ્યો છે એવી જાણકારી મળી છે.
સાંસદની સુરક્ષામાં થયેલી ગંભીર ચૂકની ઘટના બાદ સંસદ ભવન અને આજુબાજુના વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. મકર ગેટથી માત્ર સાંસદોને જ સંસદભવનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી રહી છે અને બિલ્ડિંગમાં પ્રવેશનાર તમામ વ્યક્તિઓના પગરખાં કાઢીને તેમની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. સુરક્ષામાં ચૂક માટે જવાબદાર 7 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વધુ લોકો સામે કાર્યવાહી થઈ શકે છે.
સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં રામપાલ, અરવિંદ, વીર દાસ, ગણેશ, અનિલ, પ્રદીપ, વિમિત્ત અને નરેન્દ્ર સામેલ છે. ઉલ્લેખનીય છે કે બે યુવાનો દર્શકોની ગેલેરીમાંથી કૂદીને સંસદમાં પ્રવેશી ગયા હતા અને તેમણે સ્મોક બોમ્બ વડે ગૃહને માથે લઈ લીધું હતું. સાંસદોએ તેમને પકડીને સુરક્ષાકર્મીઓને હવાલે કરી દીધા હતા. જ્યારે સંસદની બહાર પણ દેખાવ કરનારા બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આ મામલે વધુ બે લોકોની સંડોવણીનો ખુલાસો થયો હતો જેમાંથી એકની ધરપકડ કરાઈ હતી અને એક હજુ ફરાર છે. 8 કર્મચારીઓ પર આ કાર્યવાહી કરવામાં આવી છે તે સંસદ ભવનના સિક્યોરિટી સ્ટાફના સભ્યો હોવાની માહિતી છે. આ બધા એ જ જગ્યાએ પોસ્ટિંગ પર હતા જ્યાંથી આરોપી યુવકોએ એન્ટ્રી કરી હતી. આ આદેશ લોકસભા સચિવાલય તરફથી જાહેર કરાયો હતો.
કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ સંસદમાં થયેલા પ્રદર્શન અંગે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. અધીર રંજને કહ્યું, હુમલા પાછળનું કારણ બેરોજગારી છે. સામાન્ય જનતાનો ગુસ્સો ગૃહની અંદર પહોંચી રહ્યો છે. વડા પ્રધાને આ ઘટના અંગે નિવેદન આપવું જોઈએ, તેઓ આ મુદ્દે મૌન જાળવી રહ્યા છે. તેઓ છાતી ઠોકીને વાત કરે છે, હવે તેમણે છાતી બતાવવી જોઈએ.
વધુમાં તેમણે કહ્યું કે મોદી મોટી મોટી વાતો કરે છે, પરંતુ તેઓ ગૃહને સુરક્ષા આપી શકતા નથી. વડાપ્રધાનને લાગે છે કે તેમને સંસદ સાથે કોઈ લેવાદેવા નથી. સંસદની સુરક્ષાની ખામીઓ પર ગંભીર ચર્ચા થવી જોઈએ. પ્રદર્શનકારીઓને અટકાવનાર સાંસદોની પ્રશંસા થવી જોઈએ. સંસદની રચનામાં ઉતાવળ હતી, એટલે આ પ્રકારની ઘટના બની.
કોંગ્રેસના સાંસદ કે. સી. વેણુગોપાલે સંસદમાં સુરક્ષાની ગંભીર ક્ષતિ અંગે ચર્ચા કરવા માટે કાર્ય સ્થગિત કરવા નોટીસ રજુ કરી હતી.
સંસદની સુરક્ષામાં ચૂકના મુદ્દે વિપક્ષી નેતાઓનું એક પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિને મળશે, રાષ્ટ્રપતિ પાસે સમય માંગવામાં આવશે. વિપક્ષના સાંસદો આ મુદ્દે બંને ગૃહોમાં ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદનની માંગ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here