થાઈલેન્ડઃ થાઈલેન્ડ, શ્રીલંકા અને મલેશિયા બાદ ઈન્ડોનેશિયા પણ ભારતીય નાગરિકોને વિઝા ફ્રી એન્ટ્રી આપવાનું વિચારી રહ્યું છે. ઈન્ડોનેશિયાના પર્યટન મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ નિર્ણયને એક મહિનાની અંદર મંજૂરી આપવામાં આવી શકે છે. ઈન્ડોનેશિયાએ આ નિર્ણય ભારતીય પ્રવાસીઓને આકર્ષવા માટે લીધો છે. ઇન્ડોનેશિયાના પર્યટન મંત્રી સાંડિયાગા ઉનોએ જણાવ્યું હતું કે ઇન્ડોનેશિયા તેના પ્રવાસન અને અર્થતંત્રને વેગ આપવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ, ચીન, ઓસ્ટ્રેલિયા, ભારત, દક્ષિણ કોરિયા, જર્મની, બ્રિટન અને ફ્રાન્સ સહિત 20 દેશોના નાગરિકોને વિઝા-મુક્ત પ્રવેશ આપવાનું વિચારી રહ્યું છે. આ યાદીને એક મહિનામાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. આ પગલાનો હેતુ અર્થવ્યવસ્થાને વેગ આપવા, પ્રવાસન અને વિદેશી રોકાણ વધારવાનો છે. ઇન્ડોનેશિયાના સત્તાવાર આંકડાઓ અનુસાર 2019 માં કોવિડ રોગચાળા પહેલા ઇન્ડોનેશિયામાં 16 મિલિયનથી વધુ વિદેશી લોકોએ મુલાકાત લીધી હતી. આ વર્ષે જાન્યુઆરીથી ઓક્ટોબર સુધીમાં લગભગ એક કરોડ વિદેશી પ્રવાસીઓ ઇન્ડોનેશિયા આવ્યા હતા. ગયા વર્ષના સમાન સમયગાળા સાથે તેની સરખામણી કરવામાં આવે તો પ્રવાસીઓની સંખ્યામાં લગભગ 124 ટકાનો વધારો થયો છે. વિશ્વના સૌથી મોટા મુસ્લિમ દેશ ઇન્ડોનેશિયાનો આ નિર્ણય પણ મહત્વનો છે કારણ કે તાજેતરમાં મુસ્લિમ બહુમતી ધરાવતા દેશ મલેશિયાએ પણ ચીની અને ભારતીય પ્રવાસીઓ માટે વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી છે. અગાઉ સપ્ટેમ્બરમાં ઇન્ડોનેશિયાએ વિદેશી વ્યક્તિઓ અને કોર્પોરેટ રોકાણકારોને આકર્ષવા માટે ગોલ્ડન વિઝાની જાહેરાત કરી હતી.