વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે પ્રિયંકા ગાંધી વાડ્રાને ઊભા રાખીને મોદીને ટ્ક્કર આપવાની વાતો કોંગ્રેસના રાજકીય વર્તુળોમાં ખૂબ ચર્ચાઈ રહી હતી. રાહુલ ગાંધીને સહાયરૂપ બનવા તેમજ કોંગ્રેસ પક્ષને લોકસભાની ચૂંઠણીમાં વધુ મજબૂત કરવાના આશયથી પ્રિયંકા ગાંધીને કોંગ્રસના મહાસચિવ બનાવીને સક્રિય રાજકારણમાં લાવવામાં આવ્યા હતા. કોંગ્રેસને એક તાજગીભર્યા ઉત્સાહી નેતાની આવશ્યકતા હતી એટલે પ્રિયંકા ગાંધીનું પુનઃ આગમન થયું હતું. પ્રિયંકા ગાંધી પોતે તો વારાણસીમાંથી ચૂંઠણી લડવા તૈયાર હતા, પણ આખરી નિર્ણય કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ કરવાનો હતો. રાહુલ ગાંધી પ્રિયંકાના વિજય બાબત ચોક્કસ નહોતા. અનુભવી અને કાબેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનતામાં વિરાટ ઈમેજ છે. એમની સામે ચક્કર લેવું આસાન નથી. રાહુલ ગાંધી બિલકુલ નહોતા ઈચ્છતા કે પ્રિયંકા ગાંધીને પરાજયનો સામનો કરવો પડે. જો પ્રિયંકા ગાંધી ચૂંટણીમાં હારી જાય તો તેમની રાજકીય કારકિર્દી શરૂ થતાં પહેલા જ સમાપ્ત થઈ જાય. વળી કોંગ્રેસની ચૂંટણી કમિટીમાં પણ પ્રિયંકાની ઉમેદવારી બાબત કોઈ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો નહોતો. પ્રિયંકા ગાંધીના નામની ચર્ચા માત્ર કાર્યકરોના વર્તુળ સુધી જ સીમિત રહી હતી. વળી કોંગ્રેસ ઉત્તરપ્રદેશમાં ખૂબ વિચારી વિચારીને પગલું ભરી રહી છે. બસપા- સપાના મહાગઠબંધનને સીધી કે આડકતરી રીતે કશું નુકસાન થાય તો એના લાભ ભાજપને મળે – એવું ગણિત મૂકીને કોંગ્રેસે નિર્ણય લીધો હતો. જો પ્રિયંકા ગાંઘી વારાણસીમાંથી ઉમેદવારી કરીને ચૂંટણી લડે તો માત્ર વારાણસી જ નહિ, લખનઉ સહિત પૂર્વ ઉત્તરપ્રદેશની બેઠકો પર એની અસર પડે. લોકો કોંગ્રેસને છોડીને ભાજપ તરફ વળે તો એનું નુકસાન ગઠબંધનવાળા પક્ષોએ ભોગવવું પડે. આથી અજય રાયને વારાણસીમાંથી ઉમેદવાર તરીકે ઊભા રાખવાનો નિર્ણય કોંગ્રેસે લીધો હતો.