ઈસરોએ આપેલ માહિતી અનુસાર, ગગનયાન મિશન માટેની પહેલી ફ્લાઈટ 21 ઓકટોબરે ઉડાન ભરશે. આ ઉડાન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના અવકાશ સંશોધન પ્રયાસોના ભાવિની રૂપરેખા આપવા માટે એક ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ઈસરો ચીફ ઉપરાંત અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન ઈસરોના ચીફે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મિશન સાથે જોડાયેલી ઘણી માહિતી આપી.
આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈસરોના ચીફને અવકાશ મિશનને લઈ લક્ષ્યો આપ્યા હતા. ઈસરોને 2035 સુધીમાં ભારતીય સ્પેસ સ્ટેશન અને 2040 સુધીમાં ચંદ્ર પર માણસ મોકલવા માટેનું લક્ષ્ય આપવામાં આવ્યું છે. આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈસરોના વૈજ્ઞાનિકોને શુક્ર ઓર્બિટર મિશન, માર્સ લેન્ડર પર કામ કરવા પણ કહ્યું હતુ. આ દરમિયાન ઈસરોએ કહ્યું હતું કે, ચંદ્ર પર વધુ સંશોધન માટેનો રોડમેપ તૈયાર કરશે. આમાં ચંદ્રયાન મિશનની શ્રેણી, નેક્સ્ટ જનરેશન લોન્ચ વ્હીકલ (NGLV)નો વિકાસ, નવા લોન્ચ પેડનું નિર્માણ, માનવ-કેન્દ્રિત પ્રયોગશાળાઓની સ્થાપના અને સંબંધિત તકનીકોનો સમાવેશ થશે. વડાપ્રધાન ભારતીય વૈજ્ઞાનિકોને આંતરગ્રહીય મિશન તરફ કામ કરવા પણ આહ્વાન કર્યું હતું, જેમાં શુક્ર ઓર્બિટર મિશન અને માર્સ લેન્ડરનો સમાવેશ થાય છે.