મહેસાણાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે પધાર્યા હતા અને પોતાના આ પ્રવાસ દરમિયાન તેઓ રાજયમાં વિવિધ ૫૭ હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેકટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. વડાપ્રધાનને અમદાવાદ એરપોર્ટ પર રિસિવ કરવા રાજયના મુખ્યમંત્રી અને શહેરના મેયર પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ જીસીએમએમએફની સુવર્ણ જયંતિની ઉજવણીમાં હાજરી આપી હતી. મોદી અમદાવાદથી વાળીનાથ ધામ પહોંચ્યા હતા. જયાં તેમણે ભવ્ય રોડ શો કરીને લોકોનું અભિવાદન ઝીલયું હતું. આ ઉજવણીમાં હાજરી આપ્યા બાદ મહેસાણાના વાળીનાથ ધામ ખાતે પહોંચ્યા હતા. જયાં તેમણે મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. વેદોકત મંત્રોચ્ચાર સાથે મહાદેવની પ્રાણપ્રતિષ્ઠા પણ વડાપ્રધા મોદીના હસ્તે કરવામાં આવી હતી. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ ઉત્તર ગુજરાતમાં ૧૮ હજાર કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી છે.
આ સાથે મહેસાણાના વાળીનાથમાં સંબોધન કરતી વખતે વડાપ્રધાને કોંગ્રેસને આડે હાથ લઇને આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ કોંગ્રેસને પ્રભુ રામ અને રામ મંદિરની વિરોધી ગણાવી હતી. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે સોમનાથ મંદિરને વિવાદનું કારણ બનાવ્યું અને સૂર્યમંદિર પર પણ વોટબેંકની રાજનીતિ કરી હતી.
નવસારીના વાસી બોરસી ગામમાં આયોજીત કાર્યક્રમમાં તેમના દ્વારા ગુજરાતમાં પ્રથમ વડાપ્રધાન મિત્રા પાર્ક સહિત ૪૪ હજાર કરોડના વિકાસ કામોનું ખાતમૂર્હૂત અને લોકાર્પણ કર્યુ હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે મોદીની ગેરંટીની વાતો કરી હતી. તો સાથે ભારતની વિરાસત, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પરિવારવાદને લઇને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે પીએમ સૂર્યઘર હેઠળ ૩૦૦ યુનિટ મફત વિજળીની ગેરંટી, ઘર ઉપર સોલાર પેનલ લગાવવા સરકાર પૈસા આપશે. ૩૦૦ યુનિટ કરતા વધુ વિજળી વેચવી હોય તો એ સરકાર ખરીદશે. ગરીબોને મોદીની ગેરંટી પર વિશ્વાસ છે. મહિલાઓને મોદીની ગેરંટી પર વિશ્વાસ છે. ખેડૂતો, દુકાનદારો, મજૂરોને મોદીની ગેરંટી પર વિશ્વાસ છે.