વોશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અશ્વેત અમેરિકન નાગરિક જ્યોર્જ ફ્લોયડના મોત બાદ પ્રદર્શન કરી રહેલા લોકો પર નિશાન સાધતા કહ્યું છે કે મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાન પહોંચાડનારા લોકોને શરમ આવવી જોઈએ. આ એક અપમાનજનક ઘટના છે.
અત્રે નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન મહાત્મા ગાંધીની પ્રતિમા પર સ્પ્રે છાંટવામાં આવ્યો હતો અને તેને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ભારતીય એમ્બસીની સામે રસ્તા પર ગાંધીજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે જેમાં ૨ અને ૩ જૂન દરમિયાન રાત્રે તોડફોડ કરવામાં આવી હતી. ભારતીય એમ્બસીએ કાયદો લાગુ કરનારી સ્થાનિક એજન્સીઓ સમક્ષ તેની ફરિયાદ પણ નોંધાવી છે.
આ ઘટના વિશે પૂછાતાં ટ્રમ્પે સોમવારે વ્હાઇટ હાઉસમાં કહ્યું કે, આ અપમાનજનક છે. ભારતીય એમ્બસીએ મામલાની તાત્કાલિક તપાસ માટે તેને વિદેશ મંત્રાલયની સમક્ષ ઉઠાવ્યો છે. સાથેસાથે મેટ્રો પોલિટન પોલીસ અને નેશનલ પાર્ક સર્વિસને પણ તેની જાણકારી આપી છે.
ભારતીય એમ્બસી, અમેરિકન વિદેશ મંત્રાલય, મેટ્રોપોલિટન પોલીસ અને નેશનલ પાર્ક સર્વિસની સાથે મળી પ્રતિમાને ઠીક કરવાના કામમાં લાગ્યા છે. ગત સપ્તાહે બે અમેરિકન સાંસદો અને ટ્રમ્પના પ્રચાર અભિયાને પ્રતિમાને વિકૃત કરવાની ઘટનાની નિંદા કરી હતી.
પ્રેસિડન્ટ ઇન્ક માટે ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર અને ટ્રમ્પ વિક્ટરી ફાઇનાન્સ કમિટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કિંમબર્લે ગુઇલ્ફોઇલે ટ્વિટ કર્યું કે, ખૂબ નિરાશાજનક. બીજી તરફ ઉત્તર કૈરોલાઇનાથી સાંસદ ટોમ ટિલિસે કહ્યું કે, મહાત્મા ગાંધીની પ્રતિમાને વિકૃત જોવી ખૂબ અપમાનજનક છે. ટિલિસે કહ્યું કે, મહાત્મા ગાંધી શાંતિપૂર્ણ પ્રદર્શનોના પ્રણેતા છે અને તેમણે દર્શાવ્યું કે તે કેટલું પરિવર્તન લાવી શકે છે. બળવો, લૂંટ અને તોડફોડ આપણને એક જૂથ ન કરી શકે. ભારત માટે અમેરિકન રાજદૂત કેન જસ્ટરે ઘટના માટે માફી માંગી છે. તેઓએ ગત સપ્તાહે ટ્વિટ કર્યું હતું કે, વોશિંગટન ડીસીમાં ગાંધીની પ્રતિમાને વિકૃત કરવાથી દુઃખી છું. કૃપા કરી અમારી માફી સ્વીકાર કરો.