અમદાવાદઃ ગુજરાતની પરિસ્થિતિ અંગે હાઈકોર્ટમાં ઓનલાઈન સુનાવણી થઈ રહી છે. સુનાવણીમાં હાઇકોર્ટે સરકારને સવાલ કર્યો કે, ૧૦૮માં જ દર્દીઓને અમદાવાદની ચાર હોસ્પિટલમાં એડમિશન આપવામાં આવ્યા છે. કેમ પ્રાઇવેટ વાહનોમાં આવતા લોકોને એડમિશન નથી આપતાં? છેલ્લી સુનવણીમાં પણ આ મુદ્દા પર અમે સ્પષ્ટતા માંગી હતી. તો એફિડેવિટમાં કેમ કોઈ સ્પષ્ટતા ન કરાઈ. સાથે જ હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢીને કહ્યું કે, એબ્યુલન્સ મામલે પણ તમારું સ્ટેન્ડ વિરોધાભાસ છે. તમારી તૈયારી શું છે? તમે માત્ર અમદાવાદની વાત કરો છે, રાજ્ય માટે શું પ્લાન છે. કોર્ટે દર્દીઓને દાખલ કરવા તેમજ ઓક્સિજનની અછતને લઈને સરકાર પાસે જવાબ માંગ્યા હતા.
હાઈકોર્ટે સરકારને નિર્દેશ આપ્યા કે, સરકારની ગાઈડલાઈન કરતા અલગ ગાઈડલાઈન ના હોવી જોઈએ. કોઈ વ્યક્તિ નજીકના ગામમાં રહેતું હોય તો કેમ અમદાવાદમાં સારવાર ના કરાવી શકે. તમે માત્ર ગુલાબી પિક્ચર બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છો. આ ગ્રાઉન્ડ રિયાલિટી નથી. હાલ ૧૪,૦૦૦થી વધુ કેસ છે આગામી દિવસમાં કેસ વધ્યા તો સરકાર શુ કરશે? સરકાર સ્વીકારે કે તમામ વસ્તુની અછત છે અને હોસ્પિટલ ફૂલ છે, તો હવે સરકાર શું કરશે.
રાજ્યમાં વધતા કોરોનાના કહેરને કારણે લોકોને પડતી હાલાકી મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો અરજીની સુનાવણી કરવામાં આવી હતી. મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથ તથા જસ્ટિસ બલરામ કારિયાની ખંડપીઠે અવલોક્યું હતું કે, ટેસ્ટિંગ કરાવવામાં, બેડ મેળવવા તથા ઓક્સિજન અને રેમડેસિવિર ઇન્જેકશન મેળવવામાં તકલીફ પડી રહી છે. આ સામે સરકાર વતીનાં વકીલે જણાવ્યું હતું કે, અમે ક્યારેય એવું નથી કહ્યું કે, અમે બધું સારું હતું અને સારું છે અમે કહ્યું છે, અમે સતત પ્રયાસ કરીએ છીએ. આ અંગેની વધુ સુનાવણી આગામી મંગળવારે થશે