પુરીમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા યોજાઈ

ઓડિશાઃ દર વર્ષે અષાઢ માસની શુક્લ પક્ષની બીજી તિથીએ ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થાય છે. ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રાનો પ્રારંભ થયો છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર રથમાં સવાર થઈને શહેરની યાત્રા પર નીકળ્યા છે. આ યાત્રામાં પોલીસનો ચુસ્ત બદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ પુરી પહોંચ્યા છે.
અષાઢ માસની શુક્લ પક્ષની બીજી તિથિથી આ યાત્રા શરૂ થાય છે અને અષાઢ શુક્લની દશમી સુધી ચાલુ રહે છે. આ રથને જોવા અને ભગવાન જગન્નાથના આશીર્વાદ લેવા માટે દેશ અને દુનિયાના ભક્તો મોટી સંખ્યામાં પુરીમાં આવે છે. આ વખતે પણ હજારો શ્રદ્ધાળુઓ યાત્રાધામ નગરી પુરીમાં ઉમટી પડ્યા છે. આ અંગે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
પરિવહન કમિશનર અમિતાભ ઠાકુરે કહ્યું કે પુરીમાં સુરક્ષા દળોની 180 ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. ટ્રાફિક વ્યવસ્થાપન માટે શહેરને જુદા જુદા ઝોન અને વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે. બીચ પેટ્રોલિંગ માટે કોસ્ટ ગાર્ડ હેલિકોપ્ટર પણ તૈનાત કરવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને લોકોને શુભેચ્છા પાઠવી છે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે 2 જુલાઈ સુધી, ઇન્ટરસેપ્ટર બોટ પારાદીપમાં તૈનાત રહેશે. તહેવાર દરમિયાન કુલ 125 વિશેષ ટ્રેનો પુરી આવશે. તેમજ ડ્રોન કેમેરાની મદદથી મોટી સંખ્યામાં સીસીટીવી કેમેરા રથયાત્રા દરમિયાન વોચ રાખશે. જગન્નાથ મંદિર પ્રશાસનના મુખ્ય પ્રશાસક રંજન કુમાર દાસે જણાવ્યું હતું કે પુરીમાં લગભગ 10 લાખ લોકો આવે તેવી અપેક્ષા છે જ્યારે ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રા અને ભગવાન જગન્નાથના રથને ગુંડીચા મંદિર તરફ ખેંચવામાં આવશે. સમગ્ર દેશ ભરમાંથી અને વિદેશથી પણ ભક્તો મોટી સંખ્યામાં દર્શનનો લાભ લઈ રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here