છેલ્લા સાત વરસથી ચાલી રહેલા દિલ્હીના એ ગોઝારા સામૂહિક બળાત્કાર કેસ- નિર્ભયા ગેન્ગ રેપ કેસના ચારે અપરાધીઓને દિલ્હી સ્થિત પટિયાલા હાઉસ કોર્ટે ફાંસીની સજા આપવાનો આદેશ આપ્યો હતો. આ ચાર દોષિતો અક્ષય, પવન, મુકેશ અને વિનયનો આગામી 22 મી જાન્યુઆરીના સવારે સાત વાગે ફાંસી આપવાનો હુકમ જારી કરાયો છે. આ દેશની વિરુધ્ધ હાઈકોર્ટમાં અરજી કરવા માટે તેમની પાસે 14 દિવસનો સમય છે. જો આ આરોપીઓ સજાની વિરુધ્ધ અરજી ના કરે તો તેમને ફાંસીની સજા આપી દેવામાં આવશે. આરોપીઓના વકીલ એ પી સિંહે જણાવ્યું હતું કે, તો અદાલતમાં કયુરેટિવ પિટિશન દાખલ કરશે. પટિયાલા હાઉસ કોર્ટે દોષિતોને ફાંસીની સજા આપવાનો આદેશ આપ્યો એ જાણીને નિર્ભયાની માતા આશાદેવીએ પ્રતિભાવ આપતાં કહ્યું હતું કે, મારી દીકરીને આજે ન્યાય મળી ગયો છે
તિહાર જેલના તંત્ર દ્વારા ફાંસી માટેની દરેક તૈયારી પૂરી કરી દેવામાં આવી છે. ચારે અપરાધીઓને એક સાથે ફાંસી આપવા માટે તિહાર જેલમાં 25 લાખ રૂપિયાના ખર્ચે નવું ફાંસીઘર બનાવવામાં આવ્યું હોવાની માહિતી આપવામાં આવી હતી. ચારે અપરાધીઓને એક સાથે જ ફાંસી આપવામાં આવશે. નિર્ભયાની માતા આશાદેવીએ અપરાધીઓને શક્ય હોય તેટલી વહેલી તકે ફાંસી આપવાની માગણી કરી હતી. આ પહેલાં પટિયાલા હાઉસ કોર્ટે અપરાધીઓને સંબંધિત તમામ કાયદાકીય કાર્યવાહી 7 જાન્યુઆરી સુધી પૂરી કરી દેવા સમય આપ્યો હતો.