નડિયાદ: મહાસુદ પૂિર્ણમાના અવસરે શ્રી સંતરામ મહારાજે જીવિત સમાધિ લીધી હતી, ત્યારે આ દિવસે આકાશમાંથી દિવ્ય સાકરવર્ષા થઈ હતી. જેના અનુસંધાને નડિયાદના પ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિરમાં સંતરામ મહારાજનો ૧૯૩મો સમાધિ મહોત્સવ છેલ્લા ૧૦ દિવસથી ઉજવાઈ રહ્યો છે. પ્રાતઃ સ્મરણિય મહંત રામદાસજી મહારાજના શુભાશીર્વાદ સાથે મહાસુદ પૂર્ણિમાના પાવન પર્વે પરંપરાગત િદવ્ય સાકરવર્ષા કરવામાં આવી હતી.
માઘી પૂનમ નિમિત્તે નડિયાદના સંતરામ મંદિરમાં દિવ્ય સાકરવર્ષા કરી ભક્તો ભક્તિમાં તલ્લીન થયા હતા. સાથે સાથે મહાસુદ પૂનમે નડિયાદમાં ત્રિદિવસીય લોકમેળો ખુબ જ પ્રખ્યાત હોવાથી, જિલ્લાભરના લાખો લોકો આ મેળો જોવા માટે ઉમટી પડ્યાં હતા. ત્યારે નાની મોટી ચગડોળો સહિત લારી, પાથરણાવાળા અને અવનવી વસ્તુઓની હાટડીઓ મંડાઈ ગઈ હતી.
નડિયાદમાં ચાલતા આ પરંપરાગત લોકમેળામાં રાતનો નજારો પણ અનેરો છે. આ સાથે જ યાત્રાધામ ડાકોરના શ્રી રણછોડરાયજીના મંદિરમાં પણ માઘ પૂિર્ણમા પર ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. મંગળા આરતીનો હજારો ભક્તોએ લ્હાવો લીધો હતો. ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યા હતા. ડાકોરના માર્ગો ભક્તોના પ્રવાહથી છલોછલ ભરાઈ ગયેલા નજરે પડતા હતા. જય રણછોડ માખણચોરના નાદ ગુંજી ઉઠ્યા હતા