અમદાવાદઃ મીલ ઓનર્સ બિલ્ડિંગ ઓડિટોરીયમ (આત્મા હોલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે, આશ્રમ રોડ, અમદાવાદમાં ગુજરાત સાહિત્ય અકાદમી અને ઓમ કોમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે કવિ, પત્રકાર અબ્બાસ અબ્દુલઅલી વાસી ‘મરીઝ’ના ૧૦૮મા જન્મદિન પ્રસંગે ‘ગુજરાતના ગાલિબ’ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભમાં ગાયક-સ્વરકાર વિપુલ આચાર્યે મરીઝની ગઝલોની સંગીતમય પ્રસ્તુતિ કરી હતી. મરીઝના જીવન-કવન વિશે કવિ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’એ મનનીય વક્તવ્ય આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું. આ પ્રસંગે કવિતાના ભાવકો અને ચાહકો ઉપસ્થિત રહ્યા હતાં.
રજૂ થયેલ ગઝલની સંગીતમય પ્રસ્તુતિ:
જયારે કલા કલા નહીં જીવન બની જશે,
મારું કવન જગતનું નિવેદન બની જશે.
મોહબતનો હવે આવી ગયો અંજામ લાગે છે,
રુદન કરતો નથી તોપણ મને આરામ લાગે છે.
ક્યાં હવે એની શિકાયત, જિંદગી ચાલી ગઈ,
જે મળી’તી એ મરણની પણ ઘડી ચાલી ગઈ.