ગુજરાત એસ.ટી. નિગમ મુસાફરલક્ષી સેવાઓ અને સલામત સંચાલનમાં સમગ્ર દેશમાં મોખરે

 

ગાંધીનગરઃ ગુજરાત એસ.ટી. કોર્પોરેશને કેન્દ્ર સરકારના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર્સ રોડ સેફટી એવોર્ડ-ર૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧ના સન્માન મેળવી સતત ત્રીજા વર્ષે આ એવોર્ડની હેટ્રિક પ્રાપ્ત કરી છે. ગ્રામ્ય વિસ્તારમાં ૭૫૦૦ કરતાં વધુ શિડ્યુલ સંચાલન કરી સમગ્ર ભારતમાં સૌથી ઓછા અકસ્માત દર-૦.૦૬ જાળવવા બદલ કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝના ઉપક્રમ એસોસિયેશન ઓફ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા ગુજરાત એસ.ટી. કોર્પોરેશનને સતત ત્રીજીવાર આ ગૌરવથી સન્માનિત કરવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્યમાર્ગ વાહન વ્યવહાર નિગમના સૂત્રોએ જણાવ્યું હતુ કે કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલયના ઉપક્રમ પેટ્રોલિયમ કન્ઝર્વેશન રિસર્ચ એસોસિએશન (ભ્ઘ્ય્ખ્) દ્વારા ગુજરાતના ૬ એસ.ટી. ડેપોને મહત્તમ કિલોમીટર પ્રતિ લીટર ઇમ્પ્રુવમેન્ટ બદલ પુરસ્કૃત કરવામાં આવતા ગુજરાત એસ.ટી.ની મુસાફર સેવા લક્ષી ઉપલબ્ધિઓમાં વધુ ઉમેરો થયો છે.

તા. ૧૮ જાન્યુઆરીએ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, ગુજરાત સ્ટેટ ઓફિસ, ગાંધીનગર ખાતે આયોજીત એવોર્ડ સમારોહમાં ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના જુનાગઢ ડિવિઝનના ધોરાજી ડેપો, અમદાવાદ ડિવિઝનના અમદાવાદ ડેપો અને ધોળકા ડેપો, અમરેલી ડિવિઝનના રાજુલા ડેપો, ગોધરા ડિવિઝનના દાહોદ ડેપો અને વલસાડ ડિવીઝનના ધરમપુર ડેપોને પારિતોષિક તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે.

એસ.ટી. નિગમને કોવિડ-૧૯ની મહામારી દરમિયાન રાહત કાર્યોની કરેલી ઉમદા કામગીરી માટે તા.૧૬ જાન્યુઆરીએ પ્રતિષ્ઠિત સિલ્વર સ્કોચ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

એસ.ટી. દ્વારા લોકડાઉન દરમિયાન આશરે ૪.૧૭ લાખ જેટલા પરપ્રાંતિય મજૂરોને તાલુકા ગ્રામ્ય વિસ્તારના કાર્ય સ્થળોએથી મહાનગરોના રેલ્વે મથકો સુધી જવા માટે પરિવહન સેવા પૂરી પાડવામાં આવી હતી. એટલું જ નહિ, એસ.ટી. નિગમના સ્ટાફ, પોલીસ સ્ટાફ, હોસ્ટેલમાં ફસાયેલા વિદ્યાર્થીઓ, એન.આર.આઈ., યાત્રાળુઓ વગેરે મળીને કુલ ૧.૧૧ લાખ પ્રવાસીઓ તથા ૧.૭૧ લાખ જેટલા રત્ન કલાકારોને તેમના વતન પહોંચાડવા માટે ૨૨,૯૫૩ બસ ટ્રીપનું આયોજન કર્યુ હતું. લોકડાઉન દરમિયાન એસ.ટી. દ્વારા અંદાજે સાત લાખ પ્રવાસીઓને પરિવહન સેવા પૂરી પાડવામાં આવી હતી અને ગંતવ્ય સ્થળે પહોચાડવામાં ઉમદા કામગીરી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here