ગુજરાતમાં કોવિડ ગાઈડલાઈનનું કડક પાલન કરાશે, રસીકરણની ગતિમાં વધારો થશે

 

ગાંધીનગર: રાજ્યમાં કોવિડ-19 સંક્રમણ પર નિયંત્રણના ઉપાયો, સારવારના સૂચનો અને ભાવી રણનીતિમાં સરકારને મદદરૂપ થવા માર્ગદર્શન અંગે રચાયેલા એક્સપર્ટ ગ્રુપ ઓફ ડોક્ટર્સની બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાઇ હતી. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં ઉપસ્થિત ટાસ્કફોર્સના સર્વે તબીબોએ રાજ્યમાં આગામી દિવસોમાં સંક્રમણનો વ્યાપ વધે નહીં તે માટે જનજાગૃતિ અને સતર્કતા અંતર્ગત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિગ, સેનિટાઇઝર અપનાવવા અને વારંવાર હાથ ધોવા તથા ભીડભાડવાળી જગ્યા-પ્રસંગોથી દૂર રહેવાની જાગૃતિ ઝુંબેશ ચલાવવા ખાસ સૂચન કર્યું હતું.

આ તબીબોએ એવો સ્પષ્ટ મત દર્શાવ્યો કે, હાલ જે સંક્રમણની સ્થિતિ છે તેની ગંભીરતા લોકો સુધી પહોંચે અને નાગરિકો જાતે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરે તેવી વ્યાપક પ્રચાર-પ્રસાર સઘન વ્યવસ્થા થાય તે સમયની માંગ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવી જનજાગૃતિ માટે રાજ્ય સરકાર આવશ્યક પગલાં લેશે, એટલું જ નહીં, કોરોના સંક્રમણ નિયંત્રણ અને સારવાર માટેના પહેલી બે લહેરના અનુભવોના આધારે રાજ્યમાં આગામી દિવસોમાં આરોગ્ય સેવાઓનું માળખું વધુ વ્યવસ્થિત કરવા અને બાકી રહેલા લોકોનું ઝડપથી વેક્સિનેશન કરવાની રણનીતિ સરકાર દ્વારા આયોજનબદ્ઘ રીતે અપનાવવામાં આવશે તેમ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ રાજ્યમાં દરેક વ્યક્તિ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઇઝરનો ઉપયોગ કરે તે માટેની સતર્કતા અને રાજ્ય સરકારના પ્રસાર-પ્રચારમાં તબીબો પણ સહયોગી થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ આ નિષ્ણાત તબીબો સાથે સમયાંતરે બેઠક યોજી તેમના અનુભવનું માર્ગદર્શન રાજ્ય સરકાર મેળવશે અને તે મુજબ સારવાર, ટ્રીટમેન્ટ પ્રોટોકોલ, ટેસ્ટિંગ, ટ્રેકિંગ વગેરેમાં હોસ્પિટલાઇઝેશન ગાઇડલાઇન્સ વગેરેમાં જરૂરિયાત મુજબ સુધારા-વધારા પણ કરશે તેમ જણાવ્યું હતું. 

આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજ કુમાર, અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તા અને વરિષ્ઠ સચિવો પણ આ બેઠકમાં જોડાયા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here