દેશની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એ એમ ખાનવિલકર અને જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની બેન્ચ દ્વારા આજે દેશની કેન્દ્ર સરકારને તેમજ રાજ્યની સરકારોને સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે, તેઓ દેશમાંથી કુષ્ઠ રોગ નાબૂદ થાય તેવાં પગલાં લે અને કુષ્ઠ રોગના દર્દીના પુનઃ વસવાટ માટે આવાસોની યોગ્ય વ્યવસ્થા કરે. આ કુષ્ઠ રોગીઓના પુનર્વાસ માટે અદાલતે અનેક દિશા- સૂચનો કર્યા હતા. અદાલતે કેન્દ્ર સરકારને જણાવ્યું હતું કે, તેઓ કુષ્ઠરોગીઓ માટે આરક્ષણની વ્યવસ્થા ગોઠવવા તેમને દિ્વ્યાંગતા સર્ટિફિકેટ પ્રદાન કરે. જેથી કુષ્ઠરોગીઓ તેમને મળતી સુવિધાઓનો સમયસર ઉપયોગ કરી શકે, બેન્ચના ન્યાયાધીશોએ જણાવ્યું હતું કે, સરકારી હોસ્પિટલોમાં એ બાબતની ચોકસાઈ રાખવામાં આવવી જોઈએ અને એ બાબત સુનિશ્ચિત થવી જોઈએ કે, હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ તેમની સાથે ભેદભાવભર્યું વર્તન ન કરે. કુષ્ઠરોગના દર્દીઓ એકલતાનો – હતાશાનો ભોગ ન બને એ વાતની તકેદારી રાખવામાં આવવી જોઈએ. તેમને વૈવાહિક જીવન જીવન જીવવાની અનુમતિ મળવી જોઈએ. અદાલતે કેન્દ્ર અને રાજ્ય સરકારોને એવો નિર્દેશ પણ કર્યો હતો કે, ખાનગી તેમજ સરકારી શાળાઓમાં પણ નિયમો બનાવવાનું કહ્યું હતુંકે, જેથી કરીને સંબંધિત શાળાઓમાં અભ્યાસ કરનારા કુષ્ઠરોગીઓના બાળકોની સાથે અણછાજતું કે ભેદભાવવાળું વર્તન ન થાય.