નવી દિલ્હીઃ દેશના પહેલા સીડીએસ બિપિન રાવતે પોતાના જીવનનો એક મોટો હિસ્સો ભારતીય સેનામાં સેવા આપીને પસાર કર્યો છે. તેઓને અશાંત વિસ્તારોમાં, આતંકવાદ અને પ્રોક્સી વોરના વિસ્તારો માટે વિશેષજ્ઞ ગણવામાં આવે છે. સીડીએસ રાવતના પરિવારમાંથી પણ લોકોએ સેનામાં સેવા આપી છે. રક્ષા એકેડમી અને અમેરિકાથી અભ્યાસ બાદ તેઓ ૧૯૭૮માં સેનામાં જોડાયા હતા અને એક વખત કાંગોમાં યુએન મિશન દરમિયાન સતર્કતાથી ૭૦૦૦ લોકોનો જીવ બચાવી ચૂક્યા છે. બિપિન રાવતનો જન્મ ૧૬ માર્ચ ૧૯૫૮માં ઉત્તરાખંડના પૌડીમાં એક ગઢવાલી રાજપૂત પરિવારમાં થયો છે. બિપિન રાવતને ઉંચાઈ ઉપર યુદ્ધ લડવા અને કાઉન્ટર ઈમર્જન્સી ઓપરેશનની કાર્યવાહીના વિશેષજ્ઞ માનવામાં આવે છે. વધુમાં અશાંત વિસ્તારોમાં લાંબો સમય કામ કરવાનો અનુભવ રહ્યો છે.અભ્યાસ પૂરો કર્યા બાદ બિપિન રાવત અમેરિકા ચાલ્યા ગયા હતા જ્યાં વધુ અભ્યાસ કર્યા બાદ દેશ માટે સેવા કરવાનો નિર્ણય કર્યો હતો. અમેરિકાના ફોર્ટ લીવએનવર્થથી કમાન અને જનરલ સ્ટાફ વિષયનો અભ્યાસ કર્યો હતો. રાષ્ટ્રીય રક્ષા એકેડમી અને ભારતીય સૈન્ય એકેડકીના પૂર્વ વિદ્યાર્થી રાવત ડિસેમ્બર ૧૯૭૮માં તેઓ સેનામાં ગોરખા રાઈફલ્સની ફિફ્ટ બટાલિયનમાં સામેલ થયા હતા. જે તેઓના પિતાનું પણ યુનિટ હતું. ૧૯૮૭માં ચીન સામેના નાના યુદ્ધમાં જનરલ બિપિન રાવતની બટાલિયન ચીની સેના સામે ટક્કર આપવા ઉભી હતી. ૨૦૧૬મા ઉરી સેના કેમ્પ ઉપર થયેલા આતંકી હુમલા બાદ સજીર્કલ સ્ટ્રાઈક બિપિન રાવતના નેતૃત્વમાં જ કરવામાં આવી હતી. આર્મી સેવા દરમિયાન રાવતે એલઓસી, ચીન બોર્ડર અને નોર્થ ઈસ્ટમાં લાંબો સમય પસાર કર્યો છે. કાશ્મીર ખીણમાં પહેલા નેશનલ રાઈફલ્સમાં બ્રિગેડિયર અને ત્યારબાદ મેજર જનરલ તરીકે ડિફેન્સ ડિવિઝનની કમાન સંભાળી હતી. સાઉથ કમાન્ડની કમાન સંભાળતા પાકિસ્તાનથી પશ્ચિમી સીમા ઉપર મિકેનાઈઝડ વોરફેર સાથે એરફોર્સ અને નેવી સાથે તાલમેલ કર્યો હતો. ચીન બોર્ડર ઉપર બિપિન રાવત કર્નલ તરીકે ઈન્ફ્રેન્ટ્રી બટાલિયનની કમાન સંભાળી ચૂક્યા છે. બિપિન રાવતને ઈન્ડિયન મિલિટ્રી એકેડમીમાં સ્વોર્ડ ઓફ ઓનરનું સન્માન મળી ચૂક્યું છે.