નવી દિલ્હી: ભારતમાંથી છુટા પડેલા પાડોશી દેશ અને ભારતને કટ્ટર દુશ્મન માનનારા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનનો તો આપણે ભારતપ્રેમ છેલ્લા કેટલાક મહિનાથી જોઈ જ રહ્યાં છે, પરંતુ હવે પાકિસ્તાનની જનતા પણ ભારતની મુરીદ થઈ છે. પાકિસ્તાનની ન્યાયિક પ્રક્રિયાથી કંટાળીને એક મહિલાએ હાઈકોર્ટના જજને સરળ શબ્દોમાં કહ્યું કે જો તમે મને અહિંયા ન્યાય ન આપી શકતા હોય તો મને ભારત જ મોકલી દો. પાકિસ્તનમાં પાંચ મરલાની સંપત્તિ અંગે ત્રણ દાયકાથી વધુ લાંબી કાનૂની લડાઈથી કંટાળેલી એક મહિલાએ લાહોર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ મુહમ્મદ અમીર ભાટીને કહ્યું કે જો તમે ન્યાય ન આપી શકો તો તમે મને ભારત મોકલી શકો છો.’ સૈયદા શહનાઝ નામની મહિલાએ મૂળ રૂપે પોતાનો કેસ બહાવલપુરથી હાઈકોર્ટની પ્રિન્સિપાલ સીટને ટ્રાન્સફર કરવા માટે અરજી કરી હતી. શેખુપુરામાં ભાડાના મકાનમાં રહેતી અરજદારે જણાવ્યું હતું કે જો તે આ કેસને આગળ વધારવા બહાવલપુર જશે તો તેની મિલકત પર ગેરકાયદે કબજો કરનારાઓના પાસેથી તેને જીવનું જોખમ થશે. જમીન માટે લડાઈ લડી રહેલ મહિલાએ કહ્યું કે જમીનના આ ટુકડા માટે ટ્રાયલ શરૂ થઈ ત્યારે તે નવ વર્ષની હતી અને હવે તે 45 વર્ષની છે. તેણીએ આરોપ લગાવ્યો કે તેના ઘર પર આ વિસ્તારના પ્રભાવશાળી લોકોએ કબજો કર્યો છે અને તે છેલ્લા 35 વર્ષથી તેના અધિકાર માટે એક પછી એક લડાઈ કરી રહી છે. તારીખ પે તારીખ અને કાયદાકીય આંટીઘૂંટીથી કંટાળીને અંતે નિરાશ થઈને શહનાઝે ચીફ જસ્ટિસ સમક્ષ માંગણી કરી કે મને ભારત જ મોકલી આપો. મહિલાએ કહ્યું, ૅહું ભારતીય ન્યાયપાલિકા પાસેથી ન્યાય મેળવી લઈશ. મુખ્ય ન્યાયાધીશે ટ્રાન્સફર અરજી પર પ્રતિવાદીઓને નોટિસ જારી કરી હતી અને સુનાવણી એક સપ્તાહ માટે મુલતવી રાખી હતી.