આર્ટિકલ ૩૭૦ દૂર કર્યા બાદ સુરક્ષાબળોની શહીદીમાં ૭૩% ઘટાડો

 

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરથી ૫ાંચ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ આર્ટિકલ ૩૭૦ દૂર કર્યા બાદ ૩૨ આતંકવાદીને ઠાર મરાયા હતા અને ૧૦ આતંકવાદીઓની ધરપકડ કરી લીધી છે. તેમની સાથે જ સુરક્ષાદળોના વીરગતિ પ્રાપ્ત કરનારા આંકડામાં ૭૩ ટકા સુધીનો ઘટાડો આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રી જી. કિશન રેડ્ડીએ બુધવારે રાજ્યસભામાં એની જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે આ દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં ૧૯ નાગરિકો મોતને ભેટ્યા છે. 

તેમણે વધુમાં કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં હાલના સમયમાં ૪૩૭ લોકો નિવારક કસ્ટડીમાં છે, જેમાં કોઈપણ નાબાલિગ સામેલ નથી. તો બીજી તરફ પાંચ ઓગસ્ટ બાદ અસામાજિક તત્ત્વો, પથ્થરમારો કરનારા અને આતંકવાદીઓ માટે કામ કરનારા ગ્રાઉન્ડ વર્કર્સ મળીને કુલ ૬,૬૦૫ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. 

આ પહેલાં મંગળવારે જી. કિશન રેડ્ડીએ સંસદને સૂચિત કર્યું હતું કે આર્ટિકલ ૩૭૦ દૂર કરવા તથા કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ કાશ્મીર ઘાટીમાં કૃષિકાર્ય ખૂબ સુચારુ રીતે થઈ રહ્યું છે. કલમ ૩૭૦ દૂર કરવાના નિર્ણય બાદ આર્થિક પ્રભાવ વિશે પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં તેમણે લોકસભાને સૂચિત કર્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે જાન્યુઆરી સુધી ૧૮.૩૪ લાખ મેટ્રિક ટન સફરજન મોકલવામાં આવ્યાં છે. 

જમ્મુ-કાશ્મીર સરકાર પાસેથી મળતી માહિતીનો હવાલો આપતાં કિશન રેડ્ડીએ એ પણ કહ્યું હતું કે ‘વર્ષ ૨૦૧૯માં રેશમકીટ ઉત્પાદનના મામલે ૮૧૩ મેટ્રિક ટન રેશમ ને કોકુનનું ઉત્પાદન થયું. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના પ્રથમ ત્રણચતુર્થાંશ ભાગમાં ૬૮૮.૨૬ કરોડ રૂપિયાનાં હસ્તશિલ્પોને નિર્યાત કરવામાં આવ્યાં. આ ઉપરાંત ઘણાં પર્યટન અભિયાનોને પણ લોન્ચ કરવામાં આવ્યાં છે. સદનના સભ્યોને એ પણ જણાયું હતું કે ‘જમ્મુ-કાશ્મીર સરકારને સૂચિત કરવામાં આવ્યું છે કે ભારત સરકારના સાંખ્યિકી અને કાર્યક્રમ કાર્યાન્વયન મંત્રાલય દ્વારા નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન કરવામાં આવેલા સામયિક મજૂરબળ સર્વેક્ષણથી ખબર પડે છે કે જમ્મુ-કાશ્મીરમાં ૧૫ વર્ષ આયુ સમૂહનું કામદાર-વસતિ પ્રમાણ ૫૧ ટકા છે. તેમણે વધુમાં કહ્યું કે જમ્મુ-કાશ્મીર અને લદાખ ક્ષેત્રની પૂર્ણ આર્થિક ક્ષમતાનું અહીં આતંકવાદ અને અલગાવવાદની જગ્યાએ ગત ૭૦ વર્ષો સુધી ખબર પડી શકી ન હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here