રશિયાના મિસાઈલ હુમલાથી યુક્રેનમાં પાંચ લોકોના મોત

રશિયાઃ રશિયા અને યુક્રેન વચ્ચે એક વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઘણા દેશો બંને દેશો વચ્ચેના આ યુદ્ધને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ક્રમમાં રશિયા-યુક્રેન યુદ્ધનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવા માટે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં ચર્ચા ચાલી રહી છે. આમ છતાં બંને દેશો એકબીજા પર સતત હુમલા કરી રહ્યા છે. આ દરમિયાન રશિયાએ પૂર્વ યુક્રેનના શહેર પોક્રોવ્સ્કમાં મિસાઈલ હુમલો કર્યા હોવાનું બહાર આવ્યું છે. શહેરમાં રહેણાંક મકાનને નિશાન બનાવીને કરાયેલા હુમલામાં પાંચ લોકોના મોત થયા હતા અને ૩૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. યુક્રેને હુમલાની નિંદા કરી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે મોસ્કોએ રહેણાંક ઇમારત પર હુમલો કર્યો હતો. તેઓએ સોવિયેત યુગની પાંચ માળની ઈમારતના ફૂટેજ પણ જાહેર કર્યા છે. આ ઈમારતનો ઉપરનો માળ ધરાશાયી થઈ ગયો છે. હુમલા બાદ બચાવ કાર્ય ચાલુ છે. તેમની પોસ્ટમાં ઝેલેન્સકીએ લખ્યું છે કે કાટમાળ હજુ પણ હટાવવામાં આવી રહ્યો છે અને બચાવ-રાહત કામગીરી ચાલી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે આપણે રશિયન આતંકને રોકવો પડશે. યુક્રેનને મદદ કરનાર વિશ્વના દરેક વ્યક્તિ અમારી સાથે મળીને આતંકવાદીઓને હરાવી દેશે. રશિયાએ આ ભયંકર યુદ્ધમાં જે કર્યું છે તેના માટે તેને જવાબદાર ગણવામાં આવશે. યુક્રેનના મંત્રી ઇગોર ક્લિમેક્નોએ પણ ટેલિગ્રામ પર આ હુમલાઓની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે આમાં પાંચ લોકોના મોત થયા છે. દરમિયાન, બીજા હુમલામાં ડોનેત્સ્ક પ્રદેશના એક ઉચ્ચ અધિકારીનું મોત થયું હતું. આ હુમલામાં ૩૧ લોકો ઘાયલ થયા છે. જેમાં ૧૯ પોલીસ અધિકારીઓ, પાંચ બચાવ કર્મીઓ અને એક બાળકનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here