વડોદરાઃ તા. ૨થી ૫ જાન્યુઆરી સુધી વડોદરામાં યોગી ડિવાઇન સોસાયટી દ્વારા આત્મીય યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આત્મીય યુવા મહોત્સવના છેલ્લા દિવસે લાખો ભક્તોએ હાજરી આપી હતી. મહોત્સવનું ઉદ્ઘાટન મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કર્યું હતું. મહોત્સવમાં છેલ્લા દિવસે કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી તથા અનેક સાધુ-સંતોએ હાજરી આપી લાખો યુવા સત્સંગીઓ વચ્ચે પ્રવચન આપ્યું હતું.
આત્મીય યુવા મહોત્સવના ચાર દિવસમાં હજારો યુવાનોએ સેવા આપી હતી તેમજ લાખો સત્સંગીઓએ હાજરી આપી રેકોર્ડ સર્જ્યો હતો અને લાખો ભક્તોએ ભોજન લીધું હતું. ૨૪ દેશમાંથી ૧૦ હજારથી વધુ ફ્ય્ત્ સત્સંગમાં ભાગ લેવા આવ્યા હતા. ભારત સહિત અમેરિકા, કેનેડા, ફ્રાન્સ, જર્મની, બ્રિટન, દક્ષિણ આફ્રિકા, તાંઝાનિયા, સાઉદી અરેબિયા, ઓસ્ટ્રેલિયા, ન્યુ ઝીલેન્ડ સહિત વિવિધ દેશોમાંથી હરિભક્તોએ ભાગ લીધો હતો. કોંગ્રેસપ્રમખ અમિત ચાવડા અને વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ હરિપ્રસાદ સ્વામીના આશીર્વાદ લીધા હતા. મહોત્સવની મુલાકાત બાદ રાજકોટ અને અમદાવાદની સરકારી હોસ્પિટલમાં નવજાત બાળકોનાં મોત મામલે અમિત ચાવડાએ કહ્યું હતું કે સરકારી હોસ્પિટલમાં બાળકોનો મોતનો મામલો ગંભીર છે. આ અંગે સરકારે તપાસ કરાવવી જોઈએ. સરકારી હોસ્પિટલમાં સુવિધા વધારવી જોઈએ.
૫૨૭ વીઘામાં આત્મીય યુવા મહોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં છ લાખ સ્ક્વેર ફીટમાં સભામંડપ, ૨૮ લાખ સ્ક્વેર ફૂટમાં પાર્કિંગ, ૭.૨૫ લાખ ફીટમાં ભોજન મંડપ, ૧.૫ લાખ સ્ક્વેર ફીટમાં રસોડું, ૧.૫ લાખ સ્ક્વેર ફીટ મહેમાનો માટે ભોજનમંડપ, ૪૦ હજાર સ્ક્વેર ફીટમાં ચા-ઉકાળા માટે કેન્ટીન, ૨૦ હજાર સ્ક્વેર ફીટમાં શાકભાજી મૂકવાની વ્યવસ્થા તેમજ ૩૦ હજાર સ્ક્વેર ફીટમાં વાસણ સાફ કરવાની જગ્યાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
૨૫ લાખથી વધુ ભક્તો કાર્યક્રમમાં આવવાના હોવાથી પોલીસ પણ સુરક્ષા વ્યવસ્થાને લઈ સતર્ક બની હતી.