પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના શપથવિધિ સમારંભમાં ઉપસ્થિત રહેવા માટે ખાસ પાકિસ્તાન ગયેલા ભૂતપૂર્વ ક્રિકેટર અને પંજાબ કોંગ્રેસના પ્રધાન નવજોત સિધ્ધુ સમારંભમાં હાજર રહેલા પાકિસ્તાનનાલશ્કરી વડા કમર જાવેદ બાજવાને ભેટ્યા હતા. આ મિલન અને ભેટવું હવે સિધ્ધુને ભારે પડી રહ્યું છે. બિહારના મુઝફરપુરની સ્થાનિક અદાલતમાં સિધ્ધુ સામે દેશદ્રોહની ફરિયાદ સાથેનો કેસ નોંધાવવામાં આવ્યો છે. એ કેસ કરનારા વકીલ સુધીર ઓઝાએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાનની સેનાના વડાને ભેટીને સિધ્ધુએ ભારતીય સેનાનું અપમાન કર્યું છે. મુઝફરપુરના વકીલ સુધીર ઓઝા આ અગાઉ પણ અનેક રાજનેતાઓ અને મહાનુભાવોના અયોગ્ય લાગતા વર્તન સામે વિરોધનો સૂર પ્રગટ કરતાં રહયા છે. આ અગાઉ પણ તેમણે લાલુ પ્રસાદ યાદવ સામે એક કેસમાં ફરિયાદ નોંધાવી હતી.