અમદાવાદમાં મુખ્યમંત્રીએ કરાવ્યું ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નું પ્રસ્થાન

 

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસ કાર્યોને પ્રજા સુધી પહોંચાડવાના આશય સાથે સમગ્ર રાજ્યમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદથી આ યાત્રાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો અને જિલ્લા કક્ષાએ મંત્રી મંડળના સભ્યો સહિત પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ યાત્રાનો શુભારંભ થયો છે. ૮૨ વંદે ગુજરાત વિકાસ રથ સાથે ૫ થી ૧૯ જુલાઇ-૨૦૨૨ દરમિયાન યોજાનારી આ યાત્રા રાજ્યના ૩૩ જિલ્લાઓ, ૮ મહાનગર પાલિકાઓ અને તમામ ગામડા-વોર્ડમાં પરિભ્રમણ કરશે. જે અંતર્ગત રાજ્યભરમાં ૨૫૦૦થી વધુ કાર્યક્રમો યોજાશે અને ૨૫ હજારથી વધુ નવા વિકાસ કાર્યોની ઘોષણા અને લોકાર્પણ કરાશે.

અમદાવાદમાં યાત્રાનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે, સ્વર્ણિમ ગુજરાતથી આત્મનિર્ભર ગુજરાત સુધીની યાત્રા આજથી શરૂ થઈ છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલે આપણને સ્વરાજ અપાવ્યું હતું. સુરાજ માટે પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ અથાગ પ્રયાસ કરી રહ્યાં છે. નરેન્દ્ર મોદીએ રાજ્યમાં દરેક ક્ષેત્રમાં પાયાથી ઇમારત સુધીના કાર્યો કર્યાં છે. 

મંત્રી વાઘાણીએ ઉમેર્યુ કે, ગુજરાત રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને દોરવણી હેઠળ ગુજરાતે વિકાસના અનેક શિખરો સર કરી વિકાસની નવી કેડી કંડારી છે. જેના ઉપર ગુજરાત રાજ્ય વધુને વધુ પ્રગતિનાં સોપાન સર કરીને વિકાસની અનેક સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે. ગુજરાત રાજ્યમાં વિતેલા ૨૦ વર્ષમાં શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને સહકાર, પશુપાલન, સિંચાઈ, રસ્તા, વન અને પર્યાવરણ, પીવાનું પાણી, ૨૪ કલાક વીજળી, વાહન વ્યવહાર, પ્રવાસન,  મહિલા અને બાળ કલ્યાણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં સર્વાંગી વિકાસ થયો છે. વિકાસનાં મીઠાં ફળ ગુજરાતના જન જન સુધી પહોંચ્યાં છે.

ગુજરાતમાં છેલ્લા ૨૦ વર્ષમાં થયેલ વિકાસની ઝાંખી કરાવવા તથા જનકલ્યાણના વિવિધ કાર્યક્રમોની જનજન સુધી જાણકારી પૂરી પાડવાના હેતુથી રાજ્યવ્યાપી વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત ૫ જુલાઈથી ૧૯ જુલાઈ, ૨૦૨૨ સુધીના ૧૫ દિવસ વંદે ગુજરાત વિકાસ યાત્રા રાજ્યભરમાં ૩૩ જિલ્લાઓ, ૮ મહાનગરો અને રાજ્યના તમામ ગામડાંઓ-વોર્ડને આવરી લેવાશે. મંત્રીએ ઉમેર્યુ કે, આ વંદે ગુજરાત વિકાસ યાત્રા મહેસુલ, આરોગ્ય, કૃષિ, પશુપાલન, પંચાયત, પ્રવાસન, માહિતી, શિક્ષણ, સહકાર, મહિલા અને બાળ વિકાસ, પાણી પુરવઠો, આદિજાતિ, સામાજિક ન્યાય અધિકારીતા અને નાગરિક પુરવઠો સહિતના વિભાગો સહભાગી બન્યા છે. આ વંદે ગુજરાત વિકાસ યાત્રાના માધ્યમથી અધતન ટેકનોલોજીથી સજ્જ રથના વિશાળ એલઈડી સ્ક્રીન ઉપર વીતેલા બે દાયકામાં વિવિધ ક્ષેત્રે હાંસલ થયેલ સિદ્ધિઓની અને વિકાસની હરણફાળના દર્શન કરાવતી રસપ્રદ ફિલ્મોનું નિદર્શન થશે. આ ઉપરાંત વંદે ગુજરાત વિકાસ રથના આગમન પૂર્વે શાળા, પંચાયત ઘર, આંગણવાડી, દૂધ મંડળી, પશુ દવાખાના, પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રો, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જેવા જાહેર સ્થળો અને જાહેર માર્ગો પર સ્વચ્છતા અભિયાન, ગામમાં પ્રભાતફેરી જેવી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here