અભિનેતા રિતેશ દેશમુખ એમના પિતા સગદત  વિલાસ રાવ દેશમુખની બાયોપિક બનાવવા માગે છે…

0
1378

 

                       બોલીવુડમાં આજે સિકવલ અને બાયોપિકનો  જમાનો છે. મેરી કોમ, ભાગ મિલખા ભાગ, સંજુથી શરૂ થયેલી બાયોપિકની અનુક્રમણિકામાં હવે ધીરે ધીરે અનેક નામ ઉમેરાતાં જય છે. રમતવીરો, ક્રિકેટરો, રાજનેતાઓ, સમાજસેવકો  સહિતવિધ વિધ ક્ષેત્રના વિશિષ્ટ વ્યક્તિત્વ પર ફિલ્મો બનાવવામાં આવી રહી છે. બાયોપિક એવો પ્રકાર છે કે એમાં કથા અને ચરિત્રચિત્રણ નક્કી હોય છે, એમાં કલ્પનાવિહાર કે સર્જકતા બહુ જૂજ દેખાય છે. પરંતુ કથાની ગુણવત્તા અને અભિનેતા કે અભિનેત્રીનો અભિનય – ફિલ્મનું નિર્દેશન અને સંગીત – એની સફળતામાં બહુજ મહત્વનો ભાગ ભજવતા હોય છે.  તાજેતરમાં મિડિયા સાથે વાત કરતં અભિનેતા રિતેશ દેશમુખે પોતાના મનની લાગણીઓ વ્યક્ત કરી હતી. હમણા રિતેશ દેશમુખ ટાઈગર શ્રોફ અને શ્રધ્ધા કપુર સાથે ફિલ્મ- બાગી- 3નું શૂટિંગ કરી રહ્યો છે. રિતેશ દેશમુખ ભલે ટોચનો અભિનેતા ના ગણાતો હોય, પણ બોલીવુડમાં તેનું એક સ્થાન છે. વળી જે ફિલ્મમાં એ ભૂમિકા ભજવે છે એ ફિલ્મમાં એની ભૂમિકા પ્રેક્ષકોના મન પર અમીટ છાપ મૂકી જતી હોય છે. બોલીવુડમાં એના સહુની  સાથે ઘનિષ્ઠ સંબંધ છે. સુપર સ્ટાર ન હોવા છતાં એનું ફેન ફોલોવિંગ પણ નોંધપાત્ર છે. રિતેશ દેશમુખે અનેક મરાઠી ફિલ્મોનું નિર્માણ પણ કર્યું હતું. લૈ ભારી ફિલ્મમાં એના કામને બહુ વખાણવામાં આવ્યું હતું. બાગી-3એ 2012માં બનેલી તમિળ ફિલ્મ વેટ્ટઈ ની રિમેક છે. એ ફિલ્મનું દિગ્દર્શન અહેમદ ખાને કર્યું છે. પોતાના પિતા સદગત વિલાસરાવ દેશમુખના જીવન પર બાયોપિક બનાવવાની રિતેશની ઈચ્છા છે. વિલાસરાવ દેશમુખ એક કુશળ પ્રશાસક હતા. તેમણે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત ગામના સરપંચ તરીકે કરી હતી. પોતાની મહેનત, કોઠા- સૂઝ અને રાજકીય કુનેહને લીધે તેઓ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બન્યા હતા. પિતા વિલાસરાવની બાયોપિક હકીકત અને તથ્યો પર આધારિત હોય, પણ એની સાથે સાથે આ ફિલ્મ મનોરંજક પણ બનવી જોઈએ, એવો રિતેશનો આગ્રહ છે. જો ફિલ્મ  મનોરંજક ન હોય તો બાયોપિક એક કંટાળાજનક દસ્તાવેજ બની રહે છે. પ્રેક્ષકોને મનોરંજન ના કરાવે, તેવી ફિલ્મ બનાવવાનો કશો અર્થ નથી એવું રિતેશ માને છે. એટલે પિતા વિલાસરાવ દેશમુખના જીવનને પ્રામાણિકતાથી, યોગ્ય રીતે પેશ કરી શકે એવા નિર્દેશકની પણ તેમને તલાશ છે.