આજકાલ ગુજરાતમાં મોસમ બદલાઈ છે. વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ રાજકીય માહોલમાં ઉષ્ણતામાન વધી રહ્યું છે. પાંચ પાંચ વાર ગુજરાત વિધાનસભામાં વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા પીઢ રાજકારણી કુંવરજી બાવળિયાએ કોંગ્રેસથી નારાજ થઈને ભાજપમાં પ્રવેશ લીધો અને એના ગણતરીના કલાકોમાં જ તેમને ગુજરાતના પ્રધાનમંડળમાં સ્થાન આપવામાં આવ્યું તે અંગે જાતજાતના તર્ક- વિતર્ક થઈ રહ્યા છે. સૌરાષ્ટ્રના બક્ષીપંચ સમાજના આગેવાન ગણાતા લોકનેતા કુંવરજી બાવળિયાના ભાજપ પ્રવેશતી કોંગ્રેસના રાજકીય વર્તુળો સ્તબ્ધ બની ગયા છે. આગામી લોકસભાની ચૂંટણીને લક્ષમાં રાખીને ભાજપે નિશાન તાક્યું છે. બાવળિયાની સાથે અનેક કોંગી કાર્યકરો પણ ભાજપમાં જોડાયા હતા. તેમને સહુને ગુજરાત ભાજપના નેતાઓ દ્વારા આવકાર અપાયો હતો. જો કે કુંવરજી બાવળિયાને તરત પ્રધાન બનાવવામાં આવ્યો એ કેટલાક ભાજપ નેતાઓને ગમ્યું નથી. તેઓ આ અંગે નારાજગી વ્યક્ત કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.