મુસ્કુરાઈયે, કયું કી અબ આપ સબ ભારત કે નાગરિક હૈઃ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી

અમદાવાદઃ અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમદાવાદમાં આયોજિત ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પમાં પાકિસ્તાનથી સ્થળાંતરિત થઇ અમદાવાદમાં નિવાસ કરતા ૧૦૮ વ્યક્તિઓને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં હતા. આ અવસરે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ કેમ છો બધા? કહીને સૌને સહર્ષ આવકાર્યા અને કહ્યું કે, ‘મુસ્કુરાઈયે કયું કી અબ આપ સબ ભારત કે નાગરિક હૈ.’ એટલુ જ નહિ આજે વસુધૈવ કુટુંબકમની ભાવના પણ સાર્થક થઈ છે.
આ અવસરે ભારતનું નાગરિકત્વ મેળવનારા સૌને અભિનંદન પાઠવતાં મંત્રીએ કહ્યું કે, તમે સૌ આજથી ભારતના નાગરિક બની ગયા છો, નવા ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે સાથે મળીને આપણે કામ કરવાનું છે. દેશની વિકાસયાત્રામાં સહભાગી બનવા માટે આપ સૌ પણ સંકલ્પબદ્ધ બનશો, એવી અપેક્ષા છે.
ગૃહ રાજયમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, ભારત સરકાર અને ગુજરાત સરકાર સ્થળાંતરિત થયેલા નાગરિકોને સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ કરવા માટે હરહંમેશ પ્રતિબદ્ધ છે. સ્થળાંતરિત થયેલા લોકોના રોજિંદા જીવનમાં આવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સરકાર નક્કર પ્રયાસો કરે જ છે, જેના ભાગરૂપે આજે ૧૦૮ નાગરિકોને નાગરિકતાપત્ર અપાઇ રહ્યા છે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, દેશના વિઝનરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિત શાહએ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના અનેક પીડાઓ વેઠતા લઘુમતીઓને, હિંદુ નિર્વાસિતોને ભારતની નાગરિકતા આસાનીથી અને ઝડપથી મળે એ માટે ખાસ પ્રયાસો કર્યા છે એને પરિણામે જ આજે તમે ભારતના નાગરિક બની શક્યા છો. વડાપ્રધાનના પ્રયાસોથી નિર્વાસિતોને ઝડપથી નાગરિકતા મળે, એ શક્ય બન્યું છે, એમ તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા લાભાર્થીઓના ચહેરા પર ભારતીય નાગરિકતા મળ્યાનો સંતોષ વર્તાતો હતો. લાભાર્થીઓએ નાગરિકતા પત્ર આપવાની પ્રક્રિયામાં અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રની અધિકારીઓએ દાખવેલી ત્વરા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટરે ભારતનું નાગરિકત્વ મેળવનારા ૧૦૮ હિંદુઓને અભિનંદન પાઠવ્યા હતા તથા પાકિસ્તાનના નિર્વાસિત હિંદુઓને ભારતનું નાગરિકત્વ આપવા સંબંધિત કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો તથા સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૮ના ગેઝેટથી ગુજરાત રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ જિલ્લા કલેક્ટરશ્રીઓને અફધાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લધુમતી કોમના (હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી) લોકોને નાગરિકતા અધિનિયમ અંતર્ગતની પ્રક્રિયા અનુસરીને ભારતીય નાગરિકતા આપવાની સત્તા મળેલી છે.
અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા કુલ ૧૧૪૯ પાકિસ્તાનના હિંદુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. આ અવસરે અમદાવાદના કલેકટર પ્રવીણા ડી. કે., અમદાવાદના સર્વે ધારાસભ્યો, સિંધ માયનોરિટી માયગ્રન્ટ્સ એસોસીએશનના પ્રમુખ અને સભ્યો તેમજ પ્રમાણપત્ર સ્વીકૃતિ કરનાર ૧૦૮ લાભાર્થીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here