મધ્યપ્રદેશઃ આ વર્ષે મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આમ આદમી પાર્ટી પણ ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવવા જઈ રહી છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ગ્વાલિયરમાં વિશાળ જનસભા યોજીને ચૂંટણીની જાહેરાત કરી છે. દર વખતની જેમ અરવિંદ કેજરીવાલે ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સરકાર પર નિશાન સાધ્યું છે. મધ્યપ્રદેશ પહોંચેલા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ,રાજ્યમાં મિશ્ર સરકાર છે અને શિવરાજ સરકાર ભ્રષ્ટાચારમાં ડૂબેલી છે, જનતા વિકલ્પ ઈચ્છે છે, હવે આમ આદમી પાર્ટી મેદાનમાં છે. કેજરીવાલે સિંધિયાના ગઢ ગ્વાલિયરમાં રાજ્યની શિવરાજ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા, રેલીમાં અરવિંદ કેજરીવાલની સાથે પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન પણ હાજર હતા. આમ આદમી પાર્ટીની સરકારમાં કોઈ ભ્રષ્ટાચાર કે કૌભાંડ નહીં થાય, એવી તેમણે જનતાને ખાતરી આપી હતી. અરવિંદ કેજરીવાલે ઉપસ્થિત લોકોને સંબોધતાકહ્યું હતું કે, ‘મધ્યપ્રદેશના લોકો ભ્રષ્ટાચારથી કંટાળી ગયા છે અને વિકલ્પો શોધી રહ્યા છે. અમે જનતાને 6 વચનો આપીને જઈ રહ્યા છીએ કે અમે મધ્યપ્રદેશમાં દિલ્હી અને પંજાબની ફોર્મ્યુલા લાગુ કરીશું. આ સાથે જ કેજરીવાલે સભાને સંબોધતા પ્રધાનમંત્રી મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે મોદીજીએ મોંઘવારી એટલી વધારી દીધી છે કે માણસ ક્યાં જશે, જનતાનું ભલું કોણ કરશે? વડા પ્રધાન મારાથી ખૂબ નારાજ છે, તેઓ કહે છે કે કેજરીવાલ મફતમાં રેવડીઓ વહેંચી રહ્યા છે. હા, હું મફતમાં રેવડીઓ વહેંચી રહ્યો છું અને મધ્યપ્રદેશમાં પણ વહેંચીશ.’ કેજરીવાલે મધ્ય પ્રદેશની જનતાને 24 કલાક વીજળી મફત, પાણી મફત, સારવાર મફત, શિક્ષણ મફત, મહિલાઓ માટે પરિવહન મફત અને વૃદ્ધોને મફત તીર્થયાત્રાનું વચન આપ્યું છે.