ભારતમાં કોરોનાની બીજી લહેર ઓસરી રહી છે. ધીરે ધીરે દેશના વિવિધ શહેરો અને નગરોમાં મૂકાયેલા નિયંત્રણો ઓછા કરવામાં આવી રહ્યા છે. કોરોનાની ગાઈડલાઈન અનુસાર, વર્તવાની સ્પષ્ટ સૂચનાઓ મળવા છતાં લોકો એનું પૂરેપૂરું પાલન કરતા નથી. તાજેતરમાં નિષ્ણાતો દ્વારા તૈયાર કરવામાં આવેલા અહેવાલમાં જણાવામાં આવ્યું છેકે, આગામી ઓગસ્ટ મહિનાની મધ્યમાં ખતરનાક કોરોના વાયરસની ત્રીજી લહેર આવી શકવાની સંભાવના છે. જયારે સપ્ટેમ્બર મહિનામાં તો આ લહેર ચરમ સીમાએ પહોંચી જશે. આ અહેવાલ સોમવારના એસબીઆઈ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, કોરોના સામે બચાવ કરવાનું એકમાત્ર શસ્ત્ર છે વેકસિનેશન . રસી મૂકાવવી અતિ આવશ્યક છે.પરંતુ એ સાથે સાથે રસીકરણની મર્યાદાઓને કશો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જેમને રસી આપવામાં આવી હોય તેવા લોકોનો ડેટા જોઈએ તો માલૂમ પડે છે કે, ભારતમાં કેવલ 4.6 ટકા વસ્તીને જ રસી આપવામાં આવી છે. જયારે 20.8 ટકા લોકોને રસીનો પહેલો ડોઝ જ મળ્યો છે. અમેરિકામાં આ પ્રમાણ 47.1ટકા, ઈઝરાયલમાં 59.8 ટકા , સ્પેનમાં 38.5 ટકા, ફ્રાન્સમાં 31.2 ટકા, વસ્તીને રસી અપાઈ ગઈ છે. જયારે દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં ભારત બહુ પાછળ છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના ઈકોનોમિક એડવાઈઝર સૌમ્ય ઘોષના જણાવ્યા અનુસાર, ભારતમાં 7 મેના દિવસે કોરોનાની બીજી લહેર ચરમ સીમાએ હતી. હાલના આંકડા મુજબ, જુલાઈના બીજા અઠવાડિયામાં દેશભરમાં 10, 000 જેટલા કેસ સામે આવવાની શક્યતા છે. તેમણે કહ્યું હતું કે, પરિણામને આધારે આશંકા વ્યક્ત કરી શકાય કે સપ્ટેમ્બરના મધ્યમાં કોરોનાની ત્રીજી લહેર એની ચરમ સીમાએ હશે. કોરોનાની ત્રીજી લહેર આવવાનો ભય વ્યક્ત કર્યો અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, હાલમાં દેશમાં દૈનિક સ્તરે એટલે કે રોજ 40 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી રહી છે. રાજસ્થાન, દિલ્હી, હિમાચલ પ્રદેશ, કેરળ, ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં 60 વર્ષથી વધુ વયના મોટાભાગના લોકોને રસીનો પહેલો ડોઝ આપી દેવાયો છે. પરંતુ ગામમાં રસીકરણ આપવાનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. રસીકરણની ઝડપ વધારવી ખૂબ જ જરૂરી છે.