કોરોના મહામારીએ તો બીજી લહેર દરમિયાન ભારતમાં કાળો કેર વર્તાવ્યો હતો. દેશના જનજીવનને છિન્ન-ભિન્ન કરી દીધું હતું. હવે ધીમે ધીમે ભારતના વિવિધ રાજ્યોમાં માંડ માંડ જનજીવન થાળે પડી રહ્યું છે ત્યારે વળી આગામી ત્રીજી લહેરના સમાચારો વહેતા થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કોરોનાની ત્રીજી લહેર ઓકટોબર અને નવેમ્બરની વચ્ચે એની ચરમ સીમાએ હોઈ શકે છે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ આ ત્રીજી લહેરની તીવ્રતા બીજી લહેર જેટલી ખતરનાક નહિ હોય. ત્રીજી લહેર દરમિયાન દેશમાં પ્રતિદિન એક લાખ કેસ સામે આવશે. બીજી લહેર દરમિયાન દૈનિક 4 લાખ કેસ સામે આવી રહ્યા હતા. હજારો લોકોના આ સમયગાળામાં મોત થયા હતા. ઓક્સિજનની તંગીએ અનેક લોકોના જીવન છિનવી લીધા હતા. ત્રીજી લહેરની સંભાવનાને નજર સમક્ષ રાખીને લોકો હજી પણ સાવચેતીથી રહે તેમજ કોરોના અંગેના તમામ માર્ગદર્શનનું પાલન કરે એ જરૂરી છે.