વારાણસીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી પ્રવાસના બીજા દિવસે સદ્ગુરુ સદાફલદેવ વિહંગમ યોગ સંસ્થાનની ૯૮મી વાર્ષિક તિથિ નિમિતે આયોજીત એક સમારોહને સંબોધતાં ગંગા સહિત તમામ જળસંસાધનોને સ્વચ્છ રાખવા અનુરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે સ્વરાજ જેટલું જ મહત્વનું છે સુરાજ્ય. બનારસનો વિકાસ એ સમગ્ર દેશના વિકાસનો રોડમેપ બને છે. વારાણસીએ દેશને નવી દિશા આપી છે.
સ્વરવેદ મહામંદિર ખાતેના સમારોહમાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે કાશીની ઉર્જા અક્ષુણ્છણ છે. વારાણસીમાં પાંચ વર્ષમાં પ્રવાસીઓનો પ્રવાહ બમણો થયો છે. તેમણે કહ્યું કે, ઇચ્છાશક્તિ હોય તો પરિવર્તન સંભવ છે. બનારસ જેવા શહેરોએ અત્યંત મુશ્કેલ સમયમાં પણ ભારતની ઓળખના, કલાને, ઉદ્યમિતાના બીજને સંભાળીને રાખ્યા છે. આજે આપણે વારાણસીના વિકાસની વાત કરીએ છીએ, તો તેનાથી પૂરા ભારતના વિકાસનો રોડમેપ પણ બને છે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, રિંગ રોડનું કામ પણ કાશીએ વિક્રમી સમયમાં પૂરું કર્યું છે. બનારસ આવતા અનેક રસ્તાઓ હવે પહોળા થઇ ગયા છે. મારા એ પ્રયાસ સતત રહે છે કે વારાણસીમાં થઇ રહેલા વિકાસ કાર્યોને ગતિ આપી શકું. કાલે રાત્રે ૧૨ કલાક બાદ મને અવસર મળ્યો. હું નીકળી પડયો હતો જોવા માટે. ગૌદોલિયામાં સૌંદર્યકિરણનું જે કામ થયું છે તે જોવાલાયક છે. મેં મડુવાહીડમાં બનારસ રેલવે સ્ટેશન પણ જોયું. આ સ્ટેશનની પણ હવે કાયાકલ્પ થઇ ચૂકી છે.
વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, આજે હું તમને બધાને આગ્રહ કરવા માંગું છું કે કંઇક સંકલ્પ લે. આ સંકલ્પ એવા હોવા જોઇએ કે જેમાં સદ્ગુરુના સંકલ્પો પૂરા થાય અને જેમાં દેશની ઇચ્છાઓ પણ સામેલ હોવી જોઇએ. આપણે દીકરીને શિક્ષિત કરવી પડશે, તેનું કૌશલ્ય પણ વિકસાવવું પડશે.
પોતાના પરિવારની સાથે સાથે જે લોકો સમાજમાં જવાબદારી નિભાવી શકે છે તેમણે એક-બે ગરીબ દીકરીઓના કૌશલ્ય વિકાસની જવાબદારી પણ ઉપાડવી જોઇએ. બીજો ઠરાવ પાણી બચાવવા વિશે હોઇ શકે છે. આપણે આપણી નદીઓ, ગંગાજી, તમામ જળસ્રોતોને સ્વચ્છ રાખવાના છે.