અમદાવાદઃ અમદાવાદમા પદ્મશ્રી પુરસ્કૃત સર્જક પ્રવીણ દરજીના પુસ્તક ‘બજતાં નૂપુર’ વિશે અધ્યાપિકા નીતા ભગતે અને કવિ અમૃત ‘ઘાયલ’ના પુસ્તક ‘આઠોં જામ ખુમારી’ વિશે સાહિત્યકાર અને પૂર્વ આઇએએસ અધિકારી વસંત ગઢવીએ પુસ્તકનો પરિચય કરાવી આસ્વાદલક્ષી વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓ, સાહિત્યકારો અને પુસ્તકપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. ઓમ કોમ્યુનિકેશન દ્વારા આયોજિત ‘પુસ્તક પરિચય’ કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું હતું.
‘બજતાં નૂપુર’ પુસ્તકએ લલિત નિબંધસંગ્રહ છે. અલગ-અલગ નિબંધમાં જુદી જુદી ભાત જોવા મળે છે. લલિત નિબંધમાં સર્જક ચેતના મોકળાશથી પ્રગટે છે.
લલિત નિબંધમાં કથાસાહિત્ય જેવા ચોક્કસ લક્ષણો દેખાતાં નથી. નૂપુરનો રવ જાદુઈ લય છે જે ‘બજતાં નૂપુર’માં જોવા મળે છે. અમૃત ‘ઘાયલ’ ધુંઆધાર શાયર છે. અમૃત ‘ઘાયલ’ જીવ્યા ત્યાં સુધી શાનદાર અને જાનદાર જીવ્યા અને સતત સાહિત્યની ઉપાસના કરતાં રહ્યાં.
અમૃત ‘ઘાયલ’નું નામ પડે ને મુશાયરાનો રંગ બદલાઈ જાય. ‘આઠોં જામ ખુમારી’ પુસ્તક દળદાર અને રોચક પુસ્તક છે. અમૃત ‘ઘાયલ’એ જેટલું લખ્યું એ આપણને ના આકર્ષે તો જ નવાઈ. શૂરા, સાકીનો પર્યાય આપણી માતૃભાષામાં કેમ ના હોય એવું વિચારીને ઘાયલે ગઝલકર્મ કર્યું અને ગઝલનું નવું સ્વરૂપ વિકસાવ્યું.