ક્રિકેટની રમતના વિશ્વમાં અનેક વિશિષ્ટ વિક્રમો સર્જનારા ખેલાડી સચિન તેંડુલકર રાજ્યસભાના માનવંતા સભ્ય છે. તેઓ 26મી એપ્રિલે રાજયસભાના સભ્ય તરીકે નિવૃત્ત થઈ રહ્યા છે. તેમને તેમના રાજ્યસભાના સભ્ય તરીકે છ વર્ષના કાર્યકાળ દરમિયાન વેતન અને ભથ્થા તરીકે મળેલાં આશરે 90 લાખ રૂપિયા તેમણે વડાપ્રધાન રાહતનિધિમાં દાનમાં આપી દીધા હોવાનું જણાવવામાં આવ્યું હતું. વડાપ્રધાનના મંત્ર્યાલય દ્વારા ઉપરોકત માહિતી આપવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ બદલ સચિન તેંડુલકર પ્રત્યે વિશેષ આભાર પ્રદર્શિત કર્યો હતો. સચિને તેમને મળતા સંસદીય ભંડોળમાંથી 7-4 કરોડ રૂપિયાના 185 પ્રોજેક્ટને પણ મંજૂરી આપી હતી. જેમાં શાળામાં કલાસરૂમનું નિર્માણ તેમજ અન્ય શૈક્ષણિક સુવિધાઓનો સમાવેશ થાય છે. શિક્ષણના વિકાસમાં તેમણે આપેલું આ યોગદાન પ્રશંસાને પાત્ર છે. આગામી 26મી એપ્રિલે રાજયસભાના સદસ્ય તરીકે તેમનો કાર્યકાળ સમાપ્ત થાય છે.