પાકિસ્તાનમાં અટકાયતમાં લેવામાં આવેલા ભારતના એરફોર્સના પાયલોટ વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન ભારતવને સોંપવામાં પાકિસ્તાન તરફથી વિલંબ થવાથી ભારતની જનતામાં ખૂબ ઉત્તેજના વ્યાપી હતી. અટારી સરહદ પર પાકિસ્તાન દ્વારા વિંગ કમાન્ડર અભિનંદનની ભારતના અધિકારીઓને સોંપણી કરવામાં આવી ત્યારે સહુને રાહત થઈ હતી. આખા ભારત દેશમાં આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ સર્જાયું હતું. વહેલી સવારથી જ વાઘા સરહદ પર દેશના લોકો અભિનંદનના સ્વાગત માટે ઉમટી પડ્યા હતા. તેમની ભારત વાપસીમાં વિલંબ થઈ રહ્યો હોવાથી લોકોની ચિંતા વધી ગઈ હતી. જોકે, શુક્રવાર રાતે 9 વાગ્યા બાદ અભિનંદનની વાપસી થઈ હતી. પાકિસ્તાની અધિકારીઓનો કાફલો વાહનો સાથે અભિનંદનને લઈને વાઘા સરહદે પહોંચ્યો હતો. પાકિસ્તાને દસ્તાવેજી કાર્યવાહી કરવાનું કારણ બતાવીને સોંપણીમાં મોડું કર્યું હતું. પ્રાપ્ત થયેલી અધિકૃત માહિતી અનુસાર, ભારતીય વાયુદળના હોનહાર અને બહાદુર પાયલોટ વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાને આશરે રાતના 9-20 કલાકે ભારતની સરહદમાં પ્રવેશ કર્યો હતો.
ભારતમાં ઘુસી આવેલા પાકિસ્તાનના સૈન્યના વિમાનોને પાછા નસાડવા દરમિયાન ભારતીય પાયલોટ અભિનંદનનું જેટ વિમાન પાકિસ્તાનની સીમામાં ક્રેશ થયું હતું. આથી પાકિસ્તાનની સીમામાં પાક સૈન્યે તેમને પકડી લીધા હતા. અભિનંદનને કોઈ પણ શરતો વિના તેમજ કશું પણઁ નુકસાન પહોંચાડ્યા વિના ભારતને તાત્કાલિક સોંપી દેવા માટે ભારત સરકારે પાકિસ્તાનને કડકાીથી જણાવી દીધું હતું. એટલું જ નહિ, અમેરિકા, ઈંગ્લેન્ડ, ફ્રાંસ , રશિયા સહિત વિશ્વના મહત્વના દેશોને સાચી પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા. આથી દરેક પ્રકારે ભીંસમાં આવેલી પાકિસ્તાન સરકારના વડાપ્રધાન ઈમરાન ખાને પાકિસ્તાનની સંસદમાં નિવેદન કર્યું હતું કે, શાંતિના પૈગાૈમ તરીકે પાકિસ્તાન ભારતને શુક્રવારે વિંગ કમાન્ડર અભિનંદનની સોંપણી કરી દેશે.
અભિનંદનની વાપસીનું સમર્થન કરતા ભારતીય અધિકારીઓએ જણાવ્યું હતું કે, પાકિસ્તાને અમને અભિનંદનની સોંપણી કરી છે. હવે એરફોર્સના નિયમ અનુસાર, એરફોર્સની તબીબી ટીમ સૌપ્રથમ એનું મેડિકલ ચેકઅપ કરશે. અભિનંદનને કશી શારીરિક કે માનસિક ઈજા થઈ છે કે નહિ્ તેઅંગે તપાસ કરવામાં આવશે.