ગાંધીધામઃ વિશ્વમાં પર્યાવરણની જાળવણી અર્થે આવેલી જાગૃતિના ભાગરૂપે દરિયામાં ડીઝલ જેવા ઈંધણથી ચાલતાં જહાજના બદલે પવન ઊર્જાથી ચાલતાં જહાજ બનાવાયા છે. આવું જ એક જહાજ સોમવારે દેશમાં પહેલી જ વખત દીનદયાળ મહાબંદરે લાંગરતાં બંદર કર્મચારીઓ-અધિકારીઓમાં રીતસર ઉત્કંઠા જાગી હતી.
આ વિશિષ્ઠ પ્રકારનું ઈ-શિપ-૧ દરિયામાં ચાલતું હોય છે ત્યારે તે પોતાના જહાજમાં લાગેલા ટાવર થકી પવન અંદર શોષે છે. આ પવન જહાજના ટર્બાઈન ચલાવે છે જે વીજળી ઉત્પન્ન કરે છે. આ વીજળીથી જહાજના એન્જિન ચાલે છે. આ પ્રકારનું જહાજ પહેલી જ વખત ભારતના દરિયા કિનારે લાંગર્યું છે. મૂળ જર્મન એવું આ જહાજ ખાલી હતું અને દીનદયાળ બંદરની ૧૫-એ નંબરની કારગો જેટી ઉપર લાંગર્યું હતું.
જહાજના વિન્ડ મિલની ૧૫ બ્લેડ એલએમ વિન્ડ કંપનીએ લોડ કરી છે જે વિયેતનામ જશે. સોમવારે સવારે ૧૦ વાગ્યે આ અનોખું જહાજ દીનદયાળ બંદરે લાંગર્યું હતું અને પ્રશાસનિક અધિકારી-કર્મચારીઓ માટે જોણું બન્યું હતું. માત્ર જેટી ઉપર તે હોય તે દરમ્યાન જ આ જહાજ ડીઝલ કે અન્ય ઈંધણનો ઉપયોગ કરે છે. દરિયામાં તેને કોઈ જ ઈંધણની જરૂર પડતી નથી તેવી વિગતો પ્રશાસનિક વર્તુળોએ આપી હતી.