પર્યાવરણ જાળવણી અર્થે પવન ઊર્જાથી ચાલતું જહાજ દેશમાં પ્રથમ દીનદયાળ બંદરે આવ્યું

 

ગાંધીધામઃ વિશ્વમાં પર્યાવરણની જાળવણી અર્થે આવેલી જાગૃતિના ભાગરૂપે દરિયામાં ડીઝલ જેવા ઈંધણથી ચાલતાં જહાજના બદલે પવન ઊર્જાથી ચાલતાં જહાજ બનાવાયા છે. આવું જ એક જહાજ સોમવારે દેશમાં પહેલી જ વખત દીનદયાળ મહાબંદરે લાંગરતાં બંદર કર્મચારીઓ-અધિકારીઓમાં રીતસર ઉત્કંઠા જાગી હતી. 

આ વિશિષ્ઠ પ્રકારનું ઈ-શિપ-૧ દરિયામાં ચાલતું હોય છે ત્યારે તે પોતાના જહાજમાં લાગેલા ટાવર થકી પવન અંદર શોષે છે. આ પવન જહાજના ટર્બાઈન ચલાવે છે જે વીજળી ઉત્પન્ન કરે છે. આ વીજળીથી જહાજના એન્જિન ચાલે છે. આ પ્રકારનું જહાજ પહેલી જ વખત ભારતના દરિયા કિનારે લાંગર્યું છે. મૂળ જર્મન એવું આ જહાજ ખાલી હતું અને દીનદયાળ બંદરની ૧૫-એ નંબરની કારગો જેટી ઉપર લાંગર્યું હતું. 

જહાજના વિન્ડ મિલની ૧૫ બ્લેડ એલએમ વિન્ડ કંપનીએ લોડ કરી છે જે વિયેતનામ જશે. સોમવારે સવારે ૧૦ વાગ્યે આ અનોખું જહાજ દીનદયાળ બંદરે લાંગર્યું હતું અને પ્રશાસનિક અધિકારી-કર્મચારીઓ માટે જોણું બન્યું હતું. માત્ર જેટી ઉપર તે હોય તે દરમ્યાન જ આ જહાજ ડીઝલ કે અન્ય ઈંધણનો ઉપયોગ કરે છે. દરિયામાં તેને કોઈ જ ઈંધણની જરૂર પડતી નથી તેવી વિગતો પ્રશાસનિક વર્તુળોએ આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here