મુંબઈઃ ચલતે ચલતે અને ટેક્સી ડ્રાઈવર જેવી ફિલ્મોમાં કામ કરનાર પીઢ અભિનેતા વિશાલ આનંદનું પાંચ ઓક્ટોબરના રોજ લાંબી માંદગીથી નિધન થયું હતું. વિશાલ આનંદ દેવ આનંદના ભત્રીજા હતા. અભિનેતા પૂરબ કોહલી વિશાલ આનંદનો ભત્રીજો છે. વિશાલ આનંદનું અસલી નામ ભીષ્મ કોહલી હતું. તે ૧૧ ફિલ્મોમાં સિમી ગરેવાલ, આશોકે કુમાર અને મહેમૂદ જેવા કલાકારો સાથે દેખાયા હતા. અભિનય ઉપરાંત આનંદે કેટલીક ફિલ્મોનું નિર્દેશન અને નિર્માણ પણ કર્યું હતું. ચલતે ચલતે સૌથી લોકપ્રિય ફિલ્મોમાંની એક હતી. જેમાં તેમણે સિમ્મી ગરેવાલ, નાઝનીન અને શ્રીરામ લાગૂ સાથે સ્ક્રીન સ્પેસ શેર કર્યો હતો. આ એક રોમાંચક ફિલ્મ હતી, જેનું નિર્દેશન વિશાલ આનંદે પોતે કર્યું હતું. સંગીતકાર બપ્પી લહેરીને વિશાલ આનંદની ફિલ્મોથી જ ઇન્ડસ્ટ્રીમાં મોટો બ્રેક મળ્યો હતો. વિશાલ આનંદ ઘણા સમયથી ફિલ્મોથી દૂર રહ્યા હતા.
બોલિવુડમાં એક પછી એક મોટા મોટા નામોના નિધન થઇ રહ્યા છે. આ સમાચાર બોલિવુડના ટેલેન્ટેડ, વર્સેટાઇલ, અને અપ્રતિમ ઇરફાન ખાનના અવસાન પછી શરૂ થયા, તે જાણે અટકવાનું નામ જ નથી લેતા. ઇરફાન ખાનનું ૨૯ એપ્રિલે મુંબઇમાં કેન્સર સામેની લાંબી લડાઇ બાદ અવસાન થયુ ત્યાં જ બીજા દિવસે બોલીવુડના ઓરિજીનલ ચોકલેટી બોય ઋષિ કપૂરે પણ કેન્સર સામે લડતા લડતા દમ તોડયો હતો. આ બે સિતારાઓની ખોટ માટે બોલીવુડ સહિત આખો દેશ અને તેમના ચાહકો શોક વ્યકત કરી જ રહ્યા હતા, ત્યાં એક પછી એક મોહિત બગેલ, સાજીદ વાજિદ, હિન્દી ફિલ્મોના મશહૂર ગીતકાર યોગેશ, જાણીતા દિગ્દર્શક, ફિલ્મ નિર્માતા અને પટકથાકાર બાસુ ચેટરજી, સુશાંત સિંહ રાજપૂત અને પછી જગદીપ ઉર્ફે સૂરમા ભોપાલી, કોરિયોગ્રાફર સરોજ ખાન, નિશિકાંત કામત, પ્રસિદ્ધ ગાયક એસ. પી. બાલાસુબ્રહ્મણ્યમ, અનુરાધા પૌંડવાલના પુત્ર, સંગીતકાર આદિત્ય પૌંડવાલ, આશાલતા વેબગાંવકર, ટીવી એક્ટર સમીર લાંબા.
આ સિવાય ૨૦૧૨માં એક બોલીવુડ ફિલ્મ ‘લાઇફ કી તો લગ ગઇ’થી કરિયરની શરૂઆત કરનાર આ ૨૭ વર્ષીય અભિનેત્રી મિષ્ઠી મુખરજી કે જે બોલીવુડ સાઉથ અને બંગાળીની અનેક ફિલ્મોમાં દેખાઇ હતી, તે કીટો ડાયેટ પર જતા લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડાતી હતી. અને ૪ ઓક્ટોબરે અવસાન પામી હતી.