ત્રણ દેશોની મુલાકાત બાદ સ્વદેશ પરત ફર્યા પ્રધાનમંત્રી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોની મુલાકાત બાદ સ્વદેશ પરત ફર્યા છે. વડાપ્રધાન દિલ્હીના પાલમ એરપોર્ટ પર પહોંચ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ભાજપના નેતાઓ અને કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાને કહ્યું, હું વિશ્વના દેશોમાં જાઉં છું, વિશ્વના નેતાઓને મળું છું અને ભારતની ક્ષમતા વિશે વાત કરું છું. મારા દેશની મહાન સંસ્કૃતિનો મહિમા કરતી વખતે હું મારી આંખો નીચી નથી કરતો, હું આંખમાં આંખ નાખીંને વાત કરું છું.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આ ક્ષમતા એટલા માટે છે કારણ કે તમે પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવી છે. જ્યારે હું બોલું છું ત્યારે દુનિયા વિચારે છે કે 140 કરોડ લોકો બોલી રહ્યા છે. જેટલો સમય હતો એનો મેં દેશ વિશે વાત કરવા માટે ઉપયોગ કર્યો.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, હું તમને પણ એ જ કહીશ કે ભારતની સંસ્કૃતિ અને મહાન પરંપરા વિશે વાત કરતી વખતે ક્યારેય ગુલામીની માનસિકતામાં ડૂબતા નહીં, હિંમત સાથે બોલજો. દુનિયા સાંભળવા આતુર છે. જ્યારે હું કહું છું કે આપણા તીર્થધામો પર હુમલા સ્વીકાર્ય નથી ત્યારે દુનિયા પણ મારી સાથે હોય તેવું લાગે છે.
ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીયોના કાર્યક્રમનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને હાજરી આપી એ ગર્વની વાત છે, પરંતુ ભારતીય સમુદાયના આ કાર્યક્રમમાં પૂર્વ વડાપ્રધાન પણ હાજર રહ્યા હતા, ત્યાંના વિપક્ષના સાંસદો પણ હાજર હતા. આ ખ્યાતિ મોદીની નથી, પરંતુ ભારતના પ્રયાસોની છે. તે 140 કરોડ ભારતીયોની ભાવનાથી સંબંધિત છે.
આ દરમિયાન વડાપ્રધાને કોરોના વાયરસ વેક્સીનને લઈને વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. વડા પ્રધાને કહ્યું, અમને હિસાબ પૂછવામાં આવ્યો કે તમે વિદેશમાં રસી કેમ મોકલી. આ બુદ્ધ અને ગાંધીની ભૂમિ છે. પાપુઆ ન્યુ ગિનીના લોકો મારી ભાષા સમજી શક્યા નહીં, પરંતુ તેઓએ ઈશારો કરીને કહ્યું કે તમે જ્યારે રસી મોકલી ત્યારે જ અમે જીવિત છીએ. ત્યાંના લોકોની આંખમાં આંસુ હતા. બ્રિટનની મુલાકાત દરમિયાન મહારાણી એલિઝાબેથ સાથેની તેમની મુલાકાતનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું કે યુકેની મહારાણીએ માતાની જેમ કહ્યું કે તમારા માટે વેજ બનાવવામાં આવ્યું છે. તેમણે રૂમાલ બતાવ્યો અને કહ્યું, જ્યારે મારા લગ્ન થયા ત્યારે આ મને ગાંધીજીએ આપ્યો હતો. હું આ પ્રેમને ભૂલી શકતો નથી.
આ પહેલા જેપી નડ્ડાએ પ્રધાનમંત્રીનું સ્વાગત કરતા કહ્યું કે, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને જે રીતે સિડનીમાં કહ્યું કે મોદીજી, તમે બોસ છો. તેમનું નિવેદન દર્શાવે છે કે ભારત પ્રત્યે વિશ્વનો દૃષ્ટિકોણ કેવી રીતે બદલાઈ ગયો છે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન તમને મળવા માટે જ તેમના દેશમાંથી ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here