મુંબઈઃ લોકપ્રિય ટીવી સિરિયલ તારક મેહતા કા ઉલટા ચશ્મામાં ડો. હંસરાજ હાથીનું પાત્ર અદા કરનારા કવિ કુમાર આઝાદનું મુંબઈમાં અવસાન થયું હતું. તેમને હાર્ટએટેક આવ્યો હતો. તેમના અવસાનના સમાચાર સાંભળીને સિરિયલનું શૂટિંગ અધવચ્ચે અટકાવી દેવામાં આવ્યું હતું. સિરિયલના ડિરેક્ટર આસિતકુમાર મોદીએ આ સમાચારને સમર્થન આપતાં જણાવ્યું હતું કે અમને જણાવતાં દુઃખ થાય છે કે અમે અમારા સિનિયર સાથી કલાકાર કવિ કુમારને ગુમાવ્યા છે. તે ઉમદા અભિનેતા હતા અને સકારાત્મક વિચાર ધરાવતી વ્યક્તિ હતી. તેમણે તબિયત સારી ન હોવાથી શૂટિંગ પર ન આવવાની વાત મને કરી હતી. થોડી વાર પછી તેમના નિધનના સમાચાર અમને મળ્યા હતા.