નવી દિલ્હી: દેશમાં થોડા મહિનાઓમાં લોકસભા ચૂંટણી થવાની છે, તે પહેલાં રાજ્યસભામાં ખાલી પડેલી બાવન બેઠક પર ચૂંટણીની પ્રક્રિયા શરૂ છે. અમુક રાજ્યોના ઉમેદવારો રાજ્યસભા માટે નિર્વિરોધ ચૂંટાઇ આવ્યા છે જેમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા સામેલ છે. ગુજરાતમાંથી નડ્ડા ઉપરાંત ભાજપના ગોવિંદ ધોળકિયા, મયંક ઠાકોર અને જશવંતસિંહ બિનહરીફ ચૂંટાયા છે.
રાજસ્થાનમાં રાજ્યસભા માટે ત્રણ બેઠકો માટે ઉમેદવારી નોંધાવામાં આવી હતી જે ત્રણ બેઠકોમાં ઉમેદવારો બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે, જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી, ભાજપના ચૂનીલાલ ગરાસિયા અને મદન રાઠોડ સામેલ છે.
મધ્યપ્રદેશમાં ભાજપના ચાર અને કોંગ્રેસના એક ઉમેદવાર રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાયા હતા. જેમાં ભાજપે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી એલ. મુરુગન, ઉમેશનાથ મહારાજ, માયા નારોલિયા અને બંસીલાલ ગુર્જરને ચૂંટણીમાં ઉતાર્યા હતા. જ્યારે કોંગ્રેસે અશોકસિંહને રાજ્યસભા માટે નામાંકિત કર્યા હતા.
બિહારમાં રાજ્યસભા બેઠકોની ચૂંટણી માટે ભાજપના બે, આરજેડીના એક અને કોંગ્રેસના એક ઉમેદવાર રેસમાં હતા. આ તમામ છ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે, જેમાં ભાજપના ભીમસિંહ અને ધર્મશીલા ગુપ્તા, જેડીયુના સંજય ઝા અને આરજેડીના મનોજ ઝા અને સંજય યાદવ અને કોંગ્રેસના અખિલેશ યાદવ સામેલ છે.
મહારાષ્ટ્રની છ બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. છ બેઠકો પર ઉમેદવારી રદ કરવા માટેનો સમય હતો પણ આ દરમિયાન કોઇ નામ પણ ન આવ્યું અને કોઇએ નામ પાછું પણ ન ખેંચ્યું તેવામાં રાજ્ય માટે છ બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા જેમાં જેમાં ભાજપના અશોક ચવ્હાણ, મેધા કુલકર્ણી, ડો. અજિત ગોપછડે, શિવસેનાના મિલિંદ દેવરા, એનસીપીના પ્રફુલ પટેલ અને કોંગ્રેસના ચંદ્રકાન્ત દંડોરે સામેલ છે.