ચીન અને તાલિબાન વચ્ચે વધી રહી છે નિકટતા, ભારત માટે સારા સંકેત નથી

 

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકોની ઘરવાપસી બાદ અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા લોહિયાળ જંગ વચ્ચે ચીન અને તાલિબાનની વધી રહેલી નિકટતા ભારત માટે ખતરાનો સંકેત આપી રહી છે. તાલિબાનનુ એક પ્રતિનિધિ મંડળ બુધવારે ચીન પહોંચ્યુ હતુ. ચીનના પ્રવાસે ગયેલા તાલિબાનના આ પ્રતિનિધિ મંડળે ચીનને આશ્વાસન આપ્યું છે કે, કોઈ પણ દેશને ચીન સામે ષડયંત્ર રચવા માટે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ નહીં કરવા દે.

પાકિસ્તાની અખબારના અહેવાલ પ્રમાણે તાલિબાનના પ્રવક્તા મોહમ્મદ નઈમે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી હતી અને બંને પક્ષોએ અફઘાનિસ્તાનમાં શાંતિ પ્રક્રિયા અને સુરક્ષાના મુદ્દે ચર્ચા કરી હતી. વાંગ યીએ તાલિબાનને મહત્ત્વપૂર્ણ રાજકીય પરિબળ ગણાવ્યું હતું.

અફઘાનિસ્તાન પર કબ્જો જમાવવા  માટે આગળ વધી રહેલા તાલિબાનના પ્રતિનિધિ મંડળનો આ પહેલો ચીન પ્રવાસ છે. પોતાના મિત્ર પાકિસ્તાનની મધ્યસ્થતા વચ્ચે ચીન પહેલા પણ તાલિબાનના સંપર્કમાં હતું. તાલિબાનનું એક પ્રતિનિધિ મંડળ ૨૦૧૯માં પણ ચીન ગયું હતું અને ૨૦૧૫માં ચીને તાલિબાન અને અફઘાન અધિકારીઓ વચ્ચે યોજાયેલી બેઠકની યજમાની કરી હતી. તાલિબાનની ચીન મુલાકાત  પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહોમ્મદ કુરેશીના ચીનથી પાછા ફર્યાના એક દિવસ બાદ યોજાઈ છે. આ દરમિયાન ચીની વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યુ છે કે, તાલિબાને પોતાના અને બીજા આતંકી સંગઠનો વચ્ચે એક સ્પષ્ટ રેખા ખેંચવી પડશે. ચીનને આશા છે કે, તાલિબાન ઈસ્ટ તુર્કિસ્તાન ઈસ્લામિક મુવમેન્ટ પર લગામ કસશે. કારણકે ચીનની રાષ્ટ્રીય સુરક્ષા માટે આ મુવમેન્ટ ખતરો છે. તેના કટ્ટરવાદી જૂથો શિનજિયાંગ ક્ષેત્રમાં સક્રિય છે. ચીને અફઘાનિસ્તાનમાં હસ્તક્ષેપ નહીં કરવાના વાયદાની સાથે સાથે અફઘાનિસ્તાનની સમસ્યાઓ હલ કરવા માટે મદદ કરવાનો પણ વાયદો કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here